eMPOWER યુવા પેઢીને માટે કોમ્પ્યુટર સાક્ષરતા અભિયાનનો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી
એક લાખથી અધિક ઓનલાઇન રજિસ્ટ્રેશન
૬ર૦ સંસ્થાઓમાં ૧૪ વર્ષથી વધુ ઉંમરના ધો. પ પાસ કોઇપણ વ્યક્તિ પ૦ રૂપિયામાં અનુકુળતાએ કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરી શકશે
મહિલા, દલિત, વનવાસી, પછાત વર્ગોના યુવક-યુવતિને સંપૂર્ણ વિનામૂલ્યે કોમ્પ્યુટર તાલીમ
નરેન્દ્રભાઈ મોદી
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર ગુજરાતનો યુવાન અભણ રહી જાય તે આ સરકારને મંજૂર નથી
પછાતપણાના ગ્રહણથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના રોજગાર અને શ્રમ વિભાગના ઉપક્રમે આ eMPOWER-કોમ્પ્યુટરના બેઝીક તાલીમ કોર્સનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થતાં જ ૧.૦૪ લાખ જેટલા યુવક-યુવતિઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. જેમાં ૮૪ ટકા ગ્રામ યુવક-યુવતિઓ અને ૩પ,૦૦૦થી વધુ મહિલાઓ કોમ્પ્યુટર સાક્ષરતાના બેઝીક કોર્ષમાં જોડાઇ છે. રાજ્યમાં આઇ.ટી.આઇ., કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને રોજગાર કચેરીઓમાં મળીને ૬ર૦ જેટલી સંસ્થાઓમાં ધો.પ પાસ અને ૧૪ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિ BCC-કોમ્પ્યુટર સાક્ષરતા અભિયાનમાં જોડાઇ શકશે. આ eMPOWERકોર્સની ફી માત્ર રૂા. પચાસ રાખી છે અને તેમાં પણ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બીપીએલ, વિકલાંગ તથા સામાજિક-શૈક્ષણિક આર્થિક પછાતવર્ગોના લોકો eMPOWERની તાલીમ સંપૂર્ણ વિનામૂલ્યે લઇ શકશે. આઇટીની જગવિખ્યાત માઇક્રોસોફટ કંપનીના તાલીમ શિક્ષકો eMPOWERની તાલીમ આપશે અને BCCનું પ્રમાણપત્ર પણ આપશે.
ચોથી જુલાઇએ સ્વામિ વિવેકાનંદજીનો ૧૧૦ વર્ષ પહેલાં દેહોત્સર્ગ થયો હતો તેમનું સ્મરણ કરાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ૩૯ વર્ષની ભરયુવાનીએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરીને સ્વામિ વિવેકાનંદે ચીરવિદાય લીધેલી. પરંતુ તેમણે જન્મોજન્મ અવતરીને પોતાનું મિશન પૂર્ણ કરવા સંકલ્પ રાખેલો તેમની પૂણ્યતિથીએ આજથી ગુજરાતમાં eMPOWERએ માત્ર કોઇ યોજનાનો અવસર નથી પરંતુ વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો નવતર આયામ છે. જગત બદલાઇ રહ્યું છે અને આ પરિવર્તનને નહીં સ્વીકારીએ તો આપણે કાળ બાહ્ય થઇ જઇશું એમ તેમણે જણાવ્યું હતું.
બારસો વરસની ગુલામીની પછાતપણાનો ભોગ ફરીથી બનવું ના પડે તે માટે યુવાનો સંકલ્પ કરે કે પોતાની ક્ષમતા અને શક્તિથી ભગીરથ, અવિરત પુરૂષાર્થ કરતા રહે એવું આહ્વાન તેમણે કર્યું હતું.
ટેકનોલોજીને વિકાસના એક અવસર અને તક તરીકે અપનાવી લેવાનો અનુરોધ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ર૧મી સદી કોની હોય તેની સ્પર્ધા હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે અને હિન્દુસ્તાન પાસે ૬પ ટકા જેટલી યુવાશક્તિ યૌવનથી તરબતર છે ત્યારે આ દેશની યુવાશક્તિને અવસર મળશે તો તેના સામર્થ્યની તાકાત વિશ્વને બતાવી શકશે.
ચીને બાળકો અંગ્રેજી શીખે તેનું અભિયાન ઉપાડેલું તેની દાદ અપાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં અંગ્રેજી ભાષામાં વાતચીત માટેનું કૌશલ્ય શીખવવા સ્કોપનું અભિયાન ચલાવેલું છે તેનાથી ગુજરાતના લાખો યુવાનો અંગ્રેજી બોલચાલમાં પારંગત બન્યા છે. જયોતિગ્રામ વીજળી દ્વારા ૧૮,૦૦૦ ગામડામાં ર૪ કલાક ઊર્જાશક્તિથી સમાજજીવનમાં ચેતના તો આવી જ છે અને તેની સાથોસાથ કોમ્પ્યુટરની સુવિધા તથા બધા જ ગામોમાં બ્રોડ બેન્ડ કનેકટીવિટીની ગુજરાતે ચાર વર્ષ પહેલાં સુવિધા આપી દીધી છે. ભારતના ૬ લાખ ગામડામાંથી કેન્દ્ર સરકારે તો હજુ ત્રણ હજાર ગામડામાં આ સુવિધાનું બજેટ બનાવ્યું છે તેની સામે ગુજરાતે કેટલી મોટી હરણફાળ ભરી છે તે સમજવા તેમણે અનુરોધ કર્યો હતો.
eMPOWER અભિયાનને ગુજરાતના આ વર્ષના બજેટમાં કરેલી જોગવાઇથી શરૂ કરી દીધું છે. જો કોઇને કોમ્પ્યુટર નહીં આવડતું હોય કે ઇન્ફર્મેશન ટેકનોલોજી નહીં જાણતા બધા જ અભણ જ ગણાશે અને ગુજરાતમાં કોઇ આવી ટેકનોલોજીના જ્ઞાનથી અભણ રહે એ મંજૂર નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
eMPOWER-કોમ્પ્યુટરની બેઝીક કોર્સ તાલીમ- BCCથી દરેક વ્યક્તિનું મૂલ્યવર્ધન થવાનું જ છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગામેગામથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧.૦૪ લાખ ઉપર પહોંચી ગયું છે અને ૮૪ ટકા તો ગામડાની વ્યક્તિઓ છે અને ૩૪ ટકા તો બહેનો છે જે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.
હુન્નર કૌશલ્ય વગર સફળતા સંભવ નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ હુન્નર કૌશલ્ય અને કોમ્પ્યુટર ટેકનોલોજી જાણકાર યુવાનોને માટે સફળતા મળવાની છે તેની રૂપરેખા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણની કોલેજો ૪૪રમાંથી દશ વર્ષમાં ૧૭૦૦ ઉપર પહોંચી ગઇ છે. યુનિવર્સિટીઓ ૧૧માંથી ૪ર થઇ ગઇ છે. ડિપ્લોમા ડિગ્રીની ઇજનેરી મેનેજમેન્ટની બેઠકો ર૩,૦૦૦ હતી તે દશ વર્ષમાં ૧.ર૩ લાખ થઇ ગઇ છે. હવે આ વર્ષથી આઇટીઆઇનો બે વર્ષનો કોર્ષ કરનારા યુવાન માટે તેના ઉચ્ચ શિક્ષણના સપના પાર કરવા માટે ધો.૧૦ અને ધો.૧રની સાથે આઇટીઆઇ કોર્સને સમકક્ષ ગણી દીધા છે. હવે ડિપ્લોમા કે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પરીક્ષામાં બેસી શકે તેવા આ નિર્ણયથી દરવાજા ખુલી ગયા છે.
ગુજરાતના પોલીસ બેડામાં હવે ટેકનોલોજી સશક્ત યુવા પોલીસની ભરતી થઇ છે. ગુજરાતના યુવાનોને સપના સાકાર કરવા પોતાની સમૃદ્ધિના હકકદાર બનો, ભાગીદાર બનો તેનો આ અવસર છે. ગુજરાત સરકાર ઇલેકટ્રોનિક મેનપાવર તરીકે યુવાનોને સક્ષમ બનાવવા eMPOWER અભિયાન યુવાનોને સમર્પિત કરે છે, એમ તેમણે ગૌરવભેર જાહેર કર્યું હતું. આ સરકાર ગુજરાતના નવજવાનોના ભાગ્યને ધડવા, સપના સાકાર કરવા સમર્પિત છે એમ જોશપૂર્વક તેમણે જણાવ્યું હતું.
રાજ્યના યુવાનોને કોમ્પ્યુટર ટેકનોલોજીથી તાલીમબદ્ધ કરવા માટેના eMPOWER યોજનાના શુભારંભ પ્રસંગે રાજ્યના નાણા અને શ્રમ-રોજગાર વિભાગના મંત્રી શ્રી વજુભાઈ વાળાએ આ તાલીમમાં જોડાઇને પોતાનું નામાંકન કરાવનારા સૌ યુવાનોને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનોએ સફળ થવા માટે સ્વામી વિવેકાનંદજીના વિચારોને પ્રેરણાસ્ત્રોત બનાવવા પડશે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી શ્રી લીલાધરભાઈ વાધેલાએ યુવાનોના સશક્તિકરણ માટે આ કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતીને યુવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ કાર્યક્રમ યુવાનોના ભાવિ ઉત્કર્ષ અને વિકાસ માટે મહત્વનો બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ર૧મી સદી જ્ઞાનની સદી છે ત્યારે યુવાનોને કોમ્પ્યુટર ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા માટે રાજ્ય સરકારનો આ મહત્વનો પ્રોજેકટ છે. તેમણે શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત મળતી વિવિધ તાલીમનો ઉલ્લેખ કરી સ્વરોજગાર ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ દોહરાવી હતી.
કાર્યક્રમનીશરૂઆતમાંશ્રમઅનેરોજગારવિભાગના અગ્રસચિવશ્રી પી. પનીરવેલે રાજ્યના બે લાખથીવધારેયુવાનોનેકોમ્પ્યુટરતાલીમથી તાલીમબદ્ધ કરી સશક્તિકરણ કરવાના eMPOWER પ્રોજેકટને સમગ્રદેશનો આવો પ્રથમ પ્રોજેકટ ગણાવી ઉપસ્થિતસૌ મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી દિલીપ સંધાણી, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી ઉપરાંત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર, શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા, સાંસદ શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્યો ઉપરાંત મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો તેમજ માઇક્રોસોફટ કંપનીના પબ્લીક સેકટરના ગ્રૃપ ડાયરેકટર શ્રી રણવીરસિંહ અને તાલીમમાં જોડાયેલા મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.