
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. સવારે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નેવીના ત્રણ ફ્રન્ટલાઈન વોરશિપ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ બપોરે ૩:૩૦ વાગ્યે તેઓ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કરશે.
નેવીના ત્રણ મુખ્ય વોરશિપનું કમિશનિંગ ભારતના સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના વિઝનને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ છલાંગ દર્શાવે છે. P15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને અંતિમ જહાજ INS સુરત વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક વિનાશકોમાં સ્થાન ધરાવે છે. તેમાં 75% સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક શસ્ત્ર-સેન્સર પેકેજો અને અદ્યતન નેટવર્ક-કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે. P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ INS નીલગિરી, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં વધુ સારી ટકી રહેવાની ક્ષમતા, દરિયાઈ યોગ્યતા અને સ્ટીલ્થ માટે અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્વદેશી ફ્રિગેટ્સની આગામી પેઢીને દર્શાવે છે. P75 સ્કોર્પિયન પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન INS વાઘશીર, સબમરીન બાંધકામમાં ભારતની વધતી જતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું નિર્માણ ફ્રાન્સના નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે.
ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી નવી મુંબઈના ખારઘરમાં ઇસ્કોન પ્રોજેક્ટના શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવ એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં અનેક દેવી-દેવતાઓ સાથેનું મંદિર, એક વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત સંગ્રહાલયો અને સભાગૃહ, ઉપચાર કેન્દ્ર, વગેરેનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય વૈદિક ઉપદેશો દ્વારા સાર્વત્રિક ભાઈચારો, શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે.