QuoteThe Rule of Law has been a core civilizational value of Indian society since ages: PM Modi
QuoteAbout 1500 archaic laws have been repealed, says PM Modi
QuoteNo country or society of the world can claim to achieve holistic development or claim to be a just society without Gender Justice: PM Modi

ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદજી, મંચ પર ઉપસ્થિત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશગણ, એટૉર્ની જનરલ ઑફ ઇન્ડિયા, આ પરિષદમાં આવેલા દુનિયાની અન્ય ઉચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિઓ, ભારતની સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના સન્માનિત ન્યાયમૂર્તિઓ, અતિથીગણ, દેવીઓ અને સજ્જનો !!

વિશ્વના કરોડો નાગરિકોને ન્યાય અને ગરિમા સુનિશ્ચિત કરનારા આપ સૌ દિગ્ગજ લોકોની વચ્ચે આવવું, પોતાનામાં જ એક સુખદ અનુભવ છે. ન્યાયની જે ખુરશી પર તમે બધા બેસો છો, તે સામાજિક જીવનમાં ભરોસા અને વિશ્વાસનું મહત્વપૂર્ણ સ્થાન છે.

આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન !!!

|

સાથીઓ,

આ પરિષદ, 21મી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં થઇ રહી છે. આ દાયકો ભારત સહિત સમગ્ર દુનિયામાં થનારા મોટા પરિવર્તનોનો દાયકો છે. આ પરિવર્તન સામાજિક, આર્થિક અને ટેકનોલોજી દરેક મોરચા પર થશે. આ પરિવર્તન તર્ક સંગત હોવા જોઈએ અને ન્યાયસંગત પણ હોવા જોઈએ, આ પરિવર્તન સૌના હિતમાં હોવા જોઈએ, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થવા જોઈએ, અને એટલા માટે ન્યાયવ્યવસ્થા અને બદલાતા વિશ્વ પર મંથન થવું ખૂબ અગત્યનું છે.

સાથીઓ, આ ભારત માટે ખૂબ સુખદ અવસર પણ છે કે આ મહત્વપૂર્ણ પરિષદ આજે તે કાળખંડમાં થઇ રહી છે જ્યારે અમારો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે.

પૂજ્ય બાપુનું જીવન સત્ય અને સેવાને સમર્પિત હતું, જે કોઇપણ ન્યાયતંત્રનો પાયો માનવામાં આવે છે. અને આપણા બાપુ પોતે પણ તો વકીલ હતા, બેરિસ્ટર હતા. પોતાના જીવનનો જે સૌપ્રથમ કેસ તેમણે લડ્યો, તે વિષે પણ ગાંધીજીએ ખૂબ વિસ્તારથી પોતાની આત્મકથામાં લખ્યું છે. ગાંધીજી ત્યારે બોમ્બે, આજના મુંબઈમાં હતા. સંઘર્ષના દિવસો હતા. કોઇપણ રીતે પહેલો કેસ મળ્યો હતો પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે આ કેસના બદલામાં તેમણે કોઈને દલાલી આપવી પડશે. ગાંધીજીએ સ્પષ્ટ કહી દીધું હતું કે કેસ મળે કે ના મળે, દલાલી નહી આપું. સત્ય પ્રત્યે, પોતાના વિચારો પ્રત્યે ગાંધીજીના મનમાં આટલી સ્પષ્ટતા હતી. અને આ સ્પષ્ટતા આવી ક્યાંથી? તેમના ઉછેર, તેમના સંસ્કાર અને ભારતીય દર્શનના સતત અધ્યયનમાંથી.

|

મિત્રો,

ભારતીય સમાજમાં કાયદાનું શાસન એ સામાજિક સંસ્કારોનો આધાર રહ્યું છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે- ‘ક્ષત્રયસ્ય ક્ષત્રમ યત ધર્મઃ’ એટલે કે કાયદો એ બધા રાજાઓનો રાજા છે, કાયદો એ સર્વોપરી છે. હજારો વર્ષોથી ચાલતા આવેલા આવા જ વિચારો, એક બહુ મોટું કારણ છે કે પ્રત્યેક ભારતીયને ન્યાયપાલિકા પર અત્યંત શ્રદ્ધા છે.

સાથીઓ,

હમણાં તાજેતરમાં કેટલાક એવા મોટા નિર્ણયો આવ્યા છે, જેમને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા હતી. નિર્ણયો પહેલા અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ થયું શું? 130 કરોડ ભારતવાસીઓએ ન્યાયસંસ્થા દ્વારા આપવામાં આવેલા આ નિર્ણયોને સંપૂર્ણ સહમતી સાથે સ્વિકાર કર્યા છે. હજારો વર્ષોથી, ભારત ન્યાય પ્રત્યે પોતાની શ્રદ્ધાના આ જ મૂલ્યોને લઈને આગળ વધી રહ્યો છે. આ જ આપણા બંધારણની પણ પ્રેરણા બન્યા છે. ગયા વર્ષે જ આપણા બંધારણને 70 વર્ષ પૂર્ણ થયા છે.

બંધારણનાં ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું- “બંધારણ એ માત્ર કોઈ વકીલનો દસ્તાવેજ નથી, તે જીવનનું વાહન છે અને તેની ભાવના એ હંમેશા તે યુગની ભાવના છે.”

આ જ ભાવનાને આપણા દેશની અદાલતો, આપણી સર્વોચ્ચ અદાલતે આગળ વધારી છે. આ જ ભાવનાને આપણી વિધાનસભાઓ અને વહીવટીતંત્રએ જીવંત રાખી છે. એકબીજાની મર્યાદાઓને સમજીને, બધા જ પ્રકારના પડકારોની વચ્ચે અનેકવાર દેશની માટે બંધારણના ત્રણેય સ્તંભોએ યોગ્ય રસ્તો શોધ્યો છે અને અમને ગર્વ છે કે ભારતમાં આ પ્રકારની એક સમૃદ્ધ પરંપરા વિકસિત થઇ છે. વીતેલા પાંચ વર્ષોમાં ભારતની જુદી-જુદી સંસ્થાઓએ, આ પરંપરાને વધુ સશક્ત કરી છે. દેશમાં આવા આશરે 1500 જૂના કાયદાઓને ખતમ કરવામાં આવ્યા છે, જેમની આજના સમયમાં પ્રાસંગિકતા ખતમ થઇ રહી હતી અને એવું નથી કે માત્ર કાયદા ખતમ કરવામાં જ ઝડપ દેખાડવામાં આવી છે. સમાજને મજબૂતી આપનારા કાયદાઓ પણ તેટલી જ ઝડપથી બનાવવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારો સાથે જોડાયેલ કાયદો હોય, ત્રણ તલાકની વિરુદ્ધ કાયદો હોય કે પછી દિવ્યાંગ જનોના અધિકારોની મર્યાદા વધારનારો કાયદો, સરકારે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કર્યું છે.

|

મિત્રો,

મને ખુશી છે કે આ પરિષદમાં જેન્ડર જસ્ટ વર્લ્ડના વિષયને પણ રાખવામાં આવ્યો છે. દુનિયાનો કોઇપણ દેશ, કોઇપણ સમાજ જાતિગતન્યાય વિના પૂર્ણ વિકાસ નથી કરી શકતો અને ના તો ન્યાયપ્રિયતાનો દાવો કરી શકે છે. આપણુ બંધારણ સમાનતાના અધિકાર અંતર્ગત જ જાતિગતન્યાયની ખાતરી આપે છે. ભારત દુનિયાના એવા ખૂબ ઓછા દેશોમાંનો એક છે જેણે સ્વતંત્રતા પછી તરત જ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. આજે 70 વર્ષ પછી પણ હવે ચૂંટણીઓમાં મહિલાઓની આ ભાગીદારી પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. હવે 21મી સદીનું ભારત, આ ભાગીદારીને અન્ય પરિમાણોમાં પણ ઝડપથી આગળ વધારી રહ્યું છે. બેટી બચાવો, બેટી ભણાવો જેવા સફળ અભિયાનોના કારણે જ પહેલીવાર ભારતના શૈક્ષણિક સંસ્થાનોમાં છોકરીઓના દાખલા છોકરાઓ કરતા વધુ થઇ ગયા છે. એ જ રીતે સૈન્ય સેવામાં દીકરીઓની પસંદગી હોય, ફાયટર પાયલટની પસંદગી પ્રક્રિયા હોય, ખાણોમાં રાત્રે કામ કરવાની સ્વતંત્રતા હોય, સરકાર દ્વારા અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. આજે ભારત વિશ્વના તેવા કેટલાક દેશોમાં સામેલ છે જેઓ કારકિર્દી ધરાવતી મહિલાઓને 26 અઠવાડિયાની વેતન સહિતની રજાઓ આપે છે.

સાથીઓ,

પરિવર્તનના આ સમયગાળામાં ભારત નવી ઊંચાઈઓ પણ હાંસલ કરી રહ્યું છે, નવી પરિભાષાઓ પણ ઘડી રહ્યું છે અને જૂની અવધારણાઓમાં પરિવર્તન પણ કરી રહ્યું છે. એક સમય હતો જ્યારે કહેવામાં આવતું હતું કે ઝડપથી વિકાસ અને પર્યાવરણની રક્ષા, એકસાથે થવા શક્ય નથી. ભારતે આ અવધારણાને પણ બદલી છે. આજે જ્યાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યો છે, ત્યાં જ આપણું જંગલ આવરણ પણ ઝડપથી વિસ્તૃત થઇ રહ્યું છે. 5-6 વર્ષ પહેલા ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું. ૩-4 દિવસ પહેલા જ અહેવાલ આવ્યો છે, તે અનુસાર હવે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એટલે કે ભારતે આ કરીને બતાવ્યું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે-સાથે પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકાય તેમ છે.

|

સાથીઓ,

હું આજે આ અવસર પર, ભારતની ન્યાયવ્યવસ્થાનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું જેણે વિકાસ અને પર્યાવરણની વચ્ચે સંતુલનની ગંભીરતાને સમજી છે, તેમાં સતત માર્ગદર્શન આપ્યું છે. અનેક જાહેર હિતની અરજીઓ– પીઆઈએલની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે પણ પર્યાવરણ સાથે જોડાયેલ તમામ મામલાઓને નવી રીતે જ પરિભાષિત કર્યા છે.

સાથીઓ,

તમારી સામે ન્યાયની સાથે જ, તાત્કાલિક ન્યાયના પણ પડકારો હંમેશાથી રહ્યા છે. તેનું એક હદ સુધી સમાધાન ટેકનોલોજીની પાસે છે. ખાસ કરીને અદાલતના પ્રકિયા વ્યવસ્થાપનને લઈને ઈન્ટરનેટ આધારિત ટેકનોલોજી વડે ભારતના જસ્ટીસ ડીલવરી સિસ્ટમને ઘણો લાભ મળશે. સરકારનો પણ પ્રયાસ છે કે દેશની દરેક અદાલતને ઈ-કોર્ટ ઇન્ટીગ્રેટેડ મિશન મોડ સાથે જોડવામાં આવે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડની સ્થાપના દ્વારા પણ અદાલતની પ્રક્રિયાઓ સરળ બનશે. કૃત્રિમ બુદ્ધિમત્તા અને માનવીય વિવેકનો તાલમેલ પણ ભારતમાં ન્યાયિક પ્રક્રિયાઓને વધુ ગતિ આપશે. 

|

 ભારતમાં પણ ન્યાયાલયો દ્વારા આની ઉપર મંથન કરી શકાય તેમ છે કે કયા ક્ષેત્રમાં, કયા સ્તર પર તેમને કૃત્રિમ બુદ્ધિમત્તાની સહાયતા લેવી છે. તે સિવાય બદલાતા સમયમાં માહિતી સુરક્ષા, સાયબર ક્રાઈમ જેવા વિષયો પર પણ આ પરિષદમાં ગંભીર મંથન થશે, કેટલાક હકારાત્મક સૂચનો સામે આવશે. મને વિશ્વાસ છે કે આ પરિષદ દ્વારા ભવિષ્યની માટે અનેક વધુ સારા સમાધાન પણ નીકળશે.

એકવાર ફરી આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓની સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું !!

  • Sunita Jaju August 30, 2024

    सत्य मेव जयते
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian tea industry's export reaches decade high of 255 mn kg in 2024

Media Coverage

Indian tea industry's export reaches decade high of 255 mn kg in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 માર્ચ 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise