QuoteGreetings on the occasion of Chhath Puja: PM Modi
QuoteChhath Puja is an example of Ek Bharat Shreshtha Bharat: PM Modi
QuoteToday we are one of the largest solar power generating countries: PM Modi
QuoteOur country is doing wonders in the solar as well as the space sector. The whole world, today, is astonished to see the achievements of India: PM Modi
QuoteUrge more and more Start-ups and innovators to take full advantage of the huge opportunities being created in India in the space sector: PM Modi
QuoteStudent power is the basis of making India strong. It is the youth of today who would lead India in the journey till 2047: PM Modi
QuoteIn India, Mission LiFE has been launched. The simple principle of Mission LiFE is - Promote a lifestyle which does not harm the environment: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે દેશના અનેક હિસ્સાઓમાં સૂર્ય ઉપાસનાનું મહાપર્વ ‘છઠ’ મનાવાઈ રહ્યું છે. ‘છઠ’ પર્વનો હિસ્સો બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ગામ, પોતાના ઘર, પોતાના પરિવાર વચ્ચે પહોંચ્યા છે. મારી પ્રાર્થના છે કે છઠ માતા બધાની સમૃદ્ધિ, બધાના કલ્યાણના આશીર્વાદ આપે.

સાથીઓ, સૂર્ય ઉપાસનાની પરંપરા એ વાતનું પ્રમાણ છે કે આપણી સંસ્કૃતિ, આપણી આસ્થાનો પ્રકૃતિ સાથે કેટલો ગાઢ સંબંધ છે. આ પૂજા દ્વારા આપણા જીવનમાં સૂર્યના પ્રકાશનું મહત્ત્વ સમજાવાયું છે. સાથે જ એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉતાર-ચડાવ જીવનનો અભિન્ન હિસ્સો છે. આથી આપણે દરેક પરિસ્થિતિમાં એક સમાન ભાવ રાખવો જોઈએ. છઠ માતાની પૂજામાં અલગ-અલગ ફળો અને ઠેકુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ વ્રત પણ કોઈ કઠિન સાધનાથી ઓછું નથી હોતું. છઠ પૂજાની વધુ એક વિશેષ વાત એ હોય છે કે તેમાં પૂજા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને સમાજના વિભિન્ન લોકો મળીને તૈયાર કરે છે. તેમાં વાંસની ટોકરી કે સુપડીનો ઉપયોગ થાય છે. માટીના દીવાઓનું પોતાનું મહત્ત્વ હોય છે. તેના દ્વારા ચણાનો પાક ઉગાડનાર ખેડૂતો અને પતાસા બનાવનાર નાનાં ઉદ્યમીઓનું સમાજમાં મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના સહયોગ વિના છઠની પૂજા સંપન્ન જ ન થઈ શકે. છઠનું પર્વ આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્ત્વ પર પણ ભાર આપે છે. આ પર્વ આવતાંસામુદાયિક સ્તર પર સડક, નદી, ઘાટ, પાણીના વિભિન્ન સ્ત્રોત, બધાંની સફાઈ કરવામાં આવે છે. છઠનું પર્વ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પણ ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના જે પણ ખૂણામાં છે, ત્યાં ધૂમધામથી છઠનું આયોજન થઈ રહ્યું છે. દિલ્લી, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓ અને

ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે પવિત્ર છઠ પૂજાની વાત કરી, ભગવાન સૂર્ય ની ઉપાસનાની વાત કરી. તો શા માટે સૂર્ય ઉપાસનાની સાથોસાથ આજે આપણે તેમના વરદાનની પણ ચર્ચા ન કરીએ? સૂર્ય દેવનું આ વરદાન છે- સૌર ઊર્જા. સોલાર એનર્જી આજે એક એવો વિષય છે જેમાં સમગ્ર દુનિયા પોતાનું ભવિષ્ય જોઈ રહી છે અને ભારત માટે તો સૂર્ય દેવ સદીઓથી ઉપાસના જ નહીં, જીવન પદ્ધતિના કેન્દ્રમાં પણ રહ્યા છે. ભારત આજે પોતાના પારંપરિક અનુભવોને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે ત્યારે, આજે આપણે સૌર ઊર્જાથી વીજળી બનાવનારા સૌથી મોટા દેશોમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ. સૌર ઊર્જાથી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તે પણ અધ્યયન નો વિષય છે.

તમિલનાડુમાં, કાંચીપુરમમાં એક ખેડૂત છે – થિરુ કે. એઝિલન. તેમણે ‘પી. એમ. કુસુમ યોજના’નો લાભ લીધો અને પોતાના ખેતરમાં દસ હૉર્સપાવરનો સૉલાર પમ્પ સેટ લગાવ્યો. હવે તેમને પોતાના ખેતર માટે વીજળી પર કંઈ ખર્ચ કરવો નથી પડતો. ખેતરમાં સિંચાઈ માટે હવે તેઓ સરકારના વીજળી પૂરવઠા પર નિર્ભર પણ નથી. આ જ રીતે રાજસ્થાનના ભરતપુરમાં ‘પી. એમ. કુસુમ યોજના’ના વધુ એક લાભાર્થી ખેડૂત છે- કમલજી મીણા. કમલજીએ ખેતરમાં સૉલાર પમ્પ લગાવ્યો જેનાથી તેમનો ખર્ચ ઓછો થઈ ગયો છે. ખર્ચ ઓછો થયો તો આવક પણ વધી ગઈ. કમલજી સોલાર વીજળીથી બીજા અનેક નાના ઉદ્યોગોને પણ જોડી રહ્યા છે.

 

તેમના વિસ્તારમાં લાકડાનું કામ છે, ગાયના છાણ થી બનનારાં ઉત્પાદનો છે, તેમાં પણ સૉલાર વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેઓ ૧૦-૧૨ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છે, અર્થાત્ કુસુમ યોજનાથી કમલજીએ જે શરૂઆત કરી, તેની સુવાસ કેટલાય લોકો સુધી પહોંચવા લાગી છે.

સાથીઓ, શું તમે ક્યારેય વિચારી શકો છો કે તમે આખો મહિનો વીજળીનો ઉપયોગ કરો અને તમારું વીજળી બિલ આવવાના બદલે તમને વીજળીના પૈસા મળે? સૌર ઊર્જાએ આ પણ કરી દેખાડ્યું છે. તમે કેટલાક દિવસ પહેલાં, દેશના પહેલા સૂર્ય ગ્રામ- ગુજરાતના મોઢેરાની ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગ્રામનાં મોટા ભાગનાં ઘર, સૉલાર પાવરથી વીજળી ઉત્પાદન કરવા લાગ્યાં છે. હવે ત્યાંનાં અનેક ઘરોમાં મહિનાના અંતેવીજળીનું બિલ નથી આવતું, પરંતુ વીજળીની કમાણીના ચૅક આવી રહ્યા છે. આ થતું જોઈને, અનેક ગામોના લોકો મને પત્રો લખીને કહી રહ્યા છે કે તેમના ગામને પણ સૂર્ય ગ્રામમાં પરિવર્તિત કરી દેવામાં આવે, એટલે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં સૂર્ય ગ્રામોનું નિર્માણ ઘણું મોટું જનાંદોલન બનશે અને તેની શરૂઆત મોઢેરા ગામના લોકો કરી જ ચૂક્યા છે.

આવો, ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ મોઢેરાના લોકો સાથે મેળવીએ. આપણી સાથે આ સમય ફૉન લાઇન પર જોડાયા છે શ્રીમાન વિપિનભાઈ પટેલ.

પ્રધાનમંત્રીજી: વિપિનભાઈ, નમસ્તે. જુઓ, હવે તો મોઢેરા સમગ્ર દેશ માટે એક મૉડલના રૂપમાં ચર્ચામાં આવી ગયું છે. પરંતુ જ્યારે તમને તમારા સંબંધીઓ, પરિચિતો બધી વાતો પૂછતા હશે તો તમે તેમને શું-શું કહો છો, શું ફાયદો થયો?

વિપિનભાઈ: સાહેબ, લોકો અમને પૂછે તો અમે કહીએ છીએ કે અમને જે બિલ આવતું હતું, લાઇટ બિલ, તે હવે શૂન્ય આવી રહ્યું છે અને ક્યારેક ૭૦ રૂપિયા આવી જાય છે પરંતુ અમારા સમગ્ર ગામમાં આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે.

પ્રધાનમંત્રીજી: અર્થાત્ એક રીતે, પહેલાં જે વીજળી બિલની ચિંતા હતી તે સમાપ્ત થઈ ગઈ.

વિપિનભાઈ: હા સાહેબ, તે વાત તો સાચી છે, સાહેબ. હવે કોઈ ટેન્શન નથી, સમગ્ર ગામમાં. બધા લોકોને લાગી રહ્યું છે કે સાહેબે જે કર્યું તો તે ઘણું સારું કર્યું. તેઓ ખુશ છે સાહેબ. આનંદિત થઈ રહ્યા છે બધા.

પ્રધાનમંત્રીજી: હવે પોતાના ઘરમાં જ પોતે જ વીજળીના કારખાનાના માલિક બની ગયા. પોતાના ઘરની છત પર વીજળી બની રહી છે.

વિપિનભાઈ: હા, સાહેબ, સાચી વાત છે, સાહેબ.

પ્રધાનમંત્રીજી: તો આ જે પરિવર્તન આવ્યું છે તેની ગામના લોકો પર શું અસર છે?

વિપિનભાઈ: સાહેબ, સમગ્ર ગામના લોકો, તેઓ ખેતી કરી રહ્યા છે તો પછી અમારે વીજળીની જે ઝંઝટ હતી તેમાંથી મુક્તિ મળી ગઈ છે. વીજળીનું બિલ તો ભરવાનું નથી, તેથી નિશ્ચિંત થઈ ગયા છીએ, સાહેબ.

પ્રધાનમંત્રીજી: અર્થાત, વીજળીનું બિલ પણ ગયું અને સુવિધા વધી ગઈ.

વિપિનભાઈ: ઝંઝટ જ ગઈ સાહેબ અને સાહેબ, જ્યારે તમે અહીં આવ્યા હતા અને તે થ્રીડી શૉ, જેનું અહીં ઉદ્ઘાટન કર્યું હતું તે પછી તો મોઢેરા ગામમાં ચાર ચાંદ લાગી ગયા છે સાહેબ અને તે જે સેક્રેટરી આવ્યા હતા સાહેબ…

પ્રધાનમંત્રીજી: જી, જી…

વિપિનભાઈ: તો અમારું ગામ ફેમસ થઈ ગયું, સાહેબ.

પ્રધાનમંત્રીજી: જી હા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહા સચિવ તેમની પોતાની ઈચ્છા હતી. તેમણે મને ઘણો આગ્રહ કર્યો કે ભાઈ, આટલું મોટું કામ કર્યું છે તો હું ત્યાં જઈને જોવા ઈચ્છું છું. ચાલો, વિપિનભાઈ, તમને અને તમારા ગામના બધા લોકોને મારા તરફથી ઘણી-ઘણી શુભકામનાઓ અને દુનિયા તમારામાંથી પ્રેરણા લે અને આ સૉલાર એનર્જીનું અભિયાન ઘરે-ઘરે ચાલે.

વિપિનભાઈ: ઠીક છે, સાહેબ. તે અમે બધા લોકોને કહીશું કે ભાઈ, સૉલાર લગાવડાઓ, તમારા પૈસાથી પણ લગાવો, ઘણો ફાયદો છે.

પ્રધાનમંત્રીજી: હા, લોકોને સમજાવો. ચાલો, ઘણી-ઘણી શુભકામનાઓ. ધન્યવાદ ભાઈ.

વિપિનભાઈ: થેંક યૂ, સાહેબ, થેંક યૂ સાહેબ, મારું જીવન ધન્ય થઈ ગયું આપની સાથે વાત કરીને.

 

વિપિનભાઈનો ઘણો-ઘણો ધન્યવાદ.

આવો હવે મોઢેરા ગામનાં વર્ષાબેન સાથે પણ વાત કરીએ.

વર્ષાબેન: હેલ્લો, નમસ્તે સાહેબ.

પ્રધાનમંત્રીજી: નમસ્તે-નમસ્તે વર્ષાબેન. કેમ છો તમે?

વર્ષાબેન: અમે તો ઘણાં મજામાં છીએ, સાહેબ. આપ કેમ છો?

પ્રધાનમંત્રીજી: હું પણ મજામાં છું.

વર્ષાબેન: અમે ધન્ય થઈ ગયાં સાહેબ, આપની સાથે વાત કરીને.

પ્રધાનમંત્રીજી: અચ્છા, વર્ષાબેન…

વર્ષાબેન: હા.

પ્રધાનમંત્રીજી: તમે મોઢેરામાં, તમે તો એક તો સૈનિક પરિવારમાંથી છો.

વર્ષાબેન: હું સૈનિક પરિવારમાંથી છું. હું પૂર્વ સૈનિકની પત્ની બોલી રહી છું.

પ્રધાનમંત્રીજી: તો પહેલાં હિન્દુસ્તાનમાં ક્યાં-ક્યાં જવાની તક મળી તમને?

વર્ષાબેન: મને રાજસ્થાનમાં મળ્યું, ગાંધીનગરમાં મળ્યું, કચરા કાંઝોર જમ્મુ છે ત્યાં તક મળી, સાથે રહેવાની. બહુ જ સુવિધા ત્યાં મળી રહી હતી સાહેબ.

પ્રધાનમંત્રીજી: હા. આ સૈન્યમાં હોવાના કારણે તમે હિન્દી પણ સરસ બોલી રહ્યાં છો.

વર્ષાબેન: હા જી. શીખી છે સાહેબ. હા.

પ્રધાનમંત્રીજી: મને જણાવો કે મોઢેરામાં જે આટલું મોટું પરિવર્તન આવ્યું, આ સૉલાર રૂફટૉપ પ્લાન્ટ તમે લગાવી દીધો. શરૂઆતમાં લોકો કહી રહ્યા હશે, ત્યારે તો

તમને મનમાં થયું હશે, આનો શું અર્થ? શું કરી રહ્યા છીએ? શું થશે? આમ કંઈ થોડી વીજળી આવે? આ બધી વાતો તમારા મનમાં આવી હશે? હવે શું અનુભવ થઈ રહ્યો છે? તેનો ફાયદો શું થયો છે?

વર્ષાબેન: ખૂબ જ સાહેબ, ફાયદો જ ફાયદો થયો છે, સાહેબ. અમારા ગામમાં તો રોજ દિવાળી મનાવાઈ રહી છે તમારા કારણે. ૨૪ કલાક અમને વીજળી મળી રહી છે, બિલ તો આવતું જ નથી ને, બિલકુલ. અમારા ઘરમાં અમે ઇલેક્ટ્રિક બધી ચીજો ઘરમાં લાવી દીધી છે, બધી ચીજોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તમારા કારણે સાહેબ. બિલ આવતું જ નથી તો અમે મુક્ત મને, બધાનો ઉપયોગ કરી શકીએ છીએ ને?

પ્રધાનમંત્રીજી: આ વાત સાચી છે, તમે વીજળીનો મહત્ત્મ ઉપયોગ કરવાનો નિર્ણય કરી લીધો છે.

વર્ષાબેન: કરી લીધો, સાહેબ, કરી લીધો. અત્યારે અમારે કોઈ સમસ્યા જ નથી. અમે મુક્ત મને, આ બધું, વૉશિંગ મશીન છે, એસી છે, બધું વાપરી શકીએ છીએ સર.

પ્રધાનમંત્રીજી: અને ગામના બાકીના લોકો પણ ખુશ છે, આ કારણે?

વર્ષાબેન: ઘણા-ઘણા ખુશ છે, સાહેબ.

પ્રધાનમંત્રીજી: અચ્છા, આ તમારા પતિદેવ તો ત્યાં સૂર્યમંદિરમાં કામ કરે છે ને? તો ત્યાં જે લાઇટ શૉ થયો તેનો મોટો કાર્યક્રમ થયો અને હવે દુનિયાભરના મહેમાનો આવી રહ્યા છે…

વર્ષાબેન: દુનિયાભરના ફૉરેનર આવી રહ્યા છે, પણ તમે વર્લ્ડમાં પ્રસિદ્ધ બનાવી દીધું છે અમારા ગામને.

પ્રધાનમંત્રીજી: તો તમારા પતિનું હવે કામ વધી ગયું હશે, આટલા મહેમાનો ત્યાં મંદિરમાં જોવા માટે આવી રહ્યા છે…

વર્ષાબેન: અરે! કોઈ વાંધો નથી, જેટલું પણ કામ વધે, સાહેબ, કોઈ વાંધો નથી. અમને કોઈ સમસ્યા નથી, મારા પતિને, બસ આપ વિકાસ કરતા જાવ અમારા ગામનો.

પ્રધાનમંત્રીજી: હવે ગામનો વિકાસ તો આપણે બધાંએ મળીને કરવાનો છે.

વર્ષાબેન: હા, હા, સાહેબ, અમે આપની સાથે છીએ.

પ્રધાનમંત્રીજી: અને હું તો મોઢેરાના લોકોને અભિનંદન આપીશ કારણકે ગામે આ યોજનાને સ્વીકારી લીધી અને તેમને વિશ્વાસ થઈ ગયો કે હા, અમે અમારા ઘરમાં વીજળી બનાવી શકીએ છીએ.

વર્ષાબેન: ૨૪ કલાક સાહેબ. અમારા ઘરમાં વીજળી આવે છે અને અમે ઘણાં ખુશ છીએ.

પ્રધાનમંત્રીજી: ચાલો, મારી આપને ઘણી શુભકામનાઓ. જે પૈસા બચ્યા છે તેનો બાળકોની ભલાઈ માટે ઉપયોગ કરજો. આ પૈસાનો ઉપયોગ સારો થાય જેથી તમારા જીવનને ફાયદો થાય. મારી આપને ઘણી શુભકામનાઓ છે. અને બધાં મોઢેરાવાળાઓને મારા નમસ્કાર.

સાથીઓ, વર્ષાબેન અને વિપિનભાઈએ જે કહ્યું છે તે સમગ્ર દેશ માટે, ગામો-શહેરો માટે એક પ્રેરણા છે. મોઢેરાનો આ અનુભવ સમગ્ર દેશમાં પુનરાવર્તિત કરી શકાય છે. સૂર્યની શક્તિ, હવે પૈસા પણ બચાવશે અને આવક પણ વધારશે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના એક સાથી છે- મંજૂર અહમદ લર્હવાલ. કાશ્મીરમાં ઠંડીના કારણે વીજળીનો ખર્ચ ઘણો થાય છે. આ કારણે, મંજૂરજીનું વીજળીનું બિલ પણ ૪ હજાર રૂપિયાથી વધુ આવતું હતું, પરંતુ જ્યારથી મંજૂરજીએ પોતાના ઘર પર સૉલાર રૂફટૉપ પ્લાન્ટ લગાવ્યો છે, તેમનો ખર્ચો અડધાથી ઓછો થઈ ગયો છે. આ જ રીતે ઓડિશાની એક દીકરી કુન્ની દેઉરી, સૌર ઊર્જાને પોતાની સાથે-સાથે બીજી

મહિલાઓની આજીવિકાનું માધ્યમ બનાવી રહી છે. કુન્ની, ઓડિશાના કેન્દુઝર જિલ્લાના કરદાપાલ ગામમાં રહે છે. તે આદિવાસી મહિલાઓને સૉલારથી ચાલતા રીલિંગ મશીન પર સિલ્કની વણાટની ટ્રેનિંગ આપે છે. સૉલાર મશીનના કારણે આ આદિવાસી મહિલાઓના માથે વીજળીના બિલનો બોજો પડતો નથી અને તેમની આવક થઈ રહી છે. આ જ તો સૂર્ય દેવની સૌર ઊર્જાનું વરદાન તો છે. વરદાન અને પ્રસાદ તો જેટલો વિસ્તાર થાય, તેટલો જ સારો હોય છે. આથી, મારી આપ સહુને પ્રાર્થના છે કે તમે પણ તેમાં જોડાવ અને બીજાને પણ જોડો.

મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે હું તમારી સાથે સૂરજની વાતો કરી રહ્યો હતો. મારું ધ્યાન સ્પેસ તરફ જઈ રહ્યું છે. તે એટલા માટે કે આપણો દેશ સૉલાર સેક્ટર સાથે જ સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. સમગ્ર દુનિયા, આજે, ભારતની ઉપલબ્ધિઓને જોઈને આશ્ચર્યચકિત છે. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જણાવીને હું તેમની પણ ખુશી વધારું.

સાથીઓ, થોડાક દિવસો પહેલાં તમે જોયું હશે કે ભારતે એક સાથે ૩૬ ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે. દિવાળીના બરાબર એક દિવસ પહેલાં મળેલી આ સફળતા એક રીતે તે આપણા યુવાનો તરફથી દેશને એક વિશેષ દિવાળી ભેટ છે. આ લૉંચિંગથી કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી, સમગ્ર દેશમાં, ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે. તેની મદદથી ખૂબ જ અંતરિયાળ વિસ્તારો પણ દેશના બાકી હિસ્સાઓ સાથે વધુ સરળતાથી જોડાઈ શકાશે. દેશ જ્યારે આત્મનિર્ભર થાય છે તો કેવી રીતે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી જાય છે- તે તેનું પણ એક ઉદાહરણ છે. તમારી સાથે વાત કરતા મને જૂનો સમય પણ યાદ આવી રહ્યો છે જ્યારે ભારતને ક્રાયૉજેનિક રૉકેટ ટૅક્નૉલૉજી આપવાથી મનાઈ કરી દીધી હતી. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટૅક્નૉલૉજી તો વિકસિત કરી જ, પરંતુ આજે તેની મદદથી એક સાથે ડઝન ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.

આ લૉંચિંગની સાથે ભારત ગ્લૉબલ કૉમર્શિયલ માર્કેટમાં એક મજબૂત પ્લેયર બનીને ઉભર્યું છે, જેથી અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે અવસરોનાં નવાં દ્વાર ખુલ્યાં છે.

સાથીઓ, વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહેલો આપણો દેશ, બધાના પ્રયાસોથી જ, પોતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં પહેલાં સ્પેસ સેક્ટર, સરકારી વ્યવસ્થાઓના પરીઘમાં જ સીમિત હતો. જ્યારે આ સ્પેસ સેક્ટર ભારતના યુવાનો માટે, ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે, ખોલી દેવામાં આવ્યું ત્યારથી તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યાં છે. ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સ આ ક્ષેત્રમાં નવાં-નવાં ઇનોવેશન અને નવી-નવી ટૅક્નૉલૉજી લાવવામાં લાગેલા છે. વિશેષકરીને, INSpaceના સહયોગથી આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે.

INSpace દ્વારા બિનસરકારી કંપનીઓને પણ પોતાના પેલૉડ અને સેટેલાઇટ લૉંચ કરવાની સુવિધા મળી રહી છે. હું વધુમાં વધુ સ્ટાર્ટ અપ્સ અને ઇનૉવેટર્સને અનુરોધ કરીશ કે તેઓ સ્પેસ સેક્ટરમાં ભારતમાં સર્જાઈ રહેલા આ મોટાં અવસરોનો પૂરો લાભ ઉઠાવે.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, યુવા શક્તિની વાત આવે, નેતૃત્વ શક્તિની વાત આવે, તો આપણા મનમાં ઘસાયેલી, જૂની ઘણી બધી ધારણાઓ ઘર કરી ગઈ છે. અનેક વાર આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થી શક્તિની વાત થાય છે તો તેને છાત્ર સંઘ ચૂંટણી સાથે જોડીને તેનું પરીઘ સીમિત કરી દેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી શક્તિનું પરીઘ ઘણું મોટું છે, ખૂબ વિશાળ છે. વિદ્યાર્થી શક્તિ, ભારતને શક્તિશાળી બનાવવાનો આધાર છે. અંતે તો, આજે જે યુવા છે, તે જ તો ભારતને વર્ષ ૨૦૪૭ સુધી લઈ જશે. જ્યારે ભારત સ્વતંત્રતાની શતાબ્દિ મનાવશે તો યુવાઓની આ શક્તિ, તેમની મહેનત, તેમનો પરસેવો, તેમની પ્રતિભા, ભારતને એ ઊંચાઈ પર લઈ જશે, જેનો સંકલ્પ દેશ, આજે લઈ રહ્યો છે. આપણા આજના યુવાઓ, જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે, રાષ્ટ્ર નિર્માણમાં લાગેલા છે, તે જોઈને હું ભરોસાથી છલોછલ છું.

જે રીતે આપણા યુવાનો હેકાથૉન્સમાં પ્રૉબ્લેમ સૉલ્વ કરે છે, રાત-રાત જાગીને કલાકોના કલાકો કામ કરે છે, તે ખૂબ જ પ્રેરણા આપનારું છે. વિતેલાં વર્ષોમાં થયેલી હેકાથૉન્સમાં દેશના લાખો યુવાનોએ મળીને અનેક પડકારોને પૂરા કર્યા છે, દેશને નવાં સૉલ્યૂશન આપ્યાં છે.

સાથીઓ, તમને યાદ હશે, મેં લાલ કિલ્લા પરથી ‘જય અનુસંધાન’નું આહ્વાન કર્યું હતું. મેં આ દાયકાને-ડીકેડને ભારતનો ટૅકેડ બનાવવાની વાત પણ કરી હતી. મને એ જોઈને ઘણું સારું લાગ્યું કે તેનું સુકાન આપણા આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સંભાળી લીધું છે. આ જ મહિને ૧૪-૧૫ ઑક્ટોબરે બધી ૨૩ આઈઆઈટી પોતાનાં ઇનૉવેશન અને રીસર્ચ પ્રૉજેક્ટને પ્રદર્શિત કરવા માટે પહેલી વાર એક મંચ પર આવી. આ મેળામાં દેશભરમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ૭૫થી વધુ ઉત્કૃષ્ટ પ્રૉજેક્ટને પ્રદર્શિત કર્યા. આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, રૉબોટિક્સ, સેમી કન્ડક્ટર, ફાઇવ-જી કમ્યૂનિકેશન, આવી ઘણી બધી થીમ પર આ પ્રૉજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આમ તો આ બધા જ પ્રૉજેક્ટ એક-એકથી ચડિયાતા હતા, પરંતુ હું કેટલાક પ્રૉજેક્ટ વિશે તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. જેમ કે, આઈઆઈટી ભુવનેશ્વરની એક ટીમે નવજાત શિશુઓ માટે પૉર્ટેબલ વેન્ટિલેટર વિકસિત કર્યું છે. તે બેટરીથી ચાલે છે અને તેનો ઉપયોગ અંતરિયાળ ક્ષેત્રોમાં સરળતાથી કરી શકાય છે. તે એ બાળકોનાં જીવનને બચાવવામાં ઘણું સહાયરૂપ સાબિત થઈ શકે છે જેમનો જન્મ નિર્ધારિત સમય પહેલાં થઈ જાય છે. ઇલેક્ટ્રિક મૉબિલિટી હોય કે ડ્રૉન ટૅક્નૉલૉજી, કે પછી ફાઇવ-જી હોય, આપણા ઘણા વિદ્યાર્થીઓ, તેની સાથે જોડાયેલી નવી ટૅક્નૉલૉજી વિકસિત કરવામાં લાગેલા છે. અનેક બધી આઈઆઈટી મળીને એક બહુભાષક પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, જે સ્થાનિક ભાષાઓને શીખવાની રીતને સરળ કરે છે. આ પ્રૉજેક્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને, તેનાં લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ ઘણી મદદ કરશે. તમને એ જાણીને પણ સારું લાગશે કે આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરે ભારતના સ્વદેશી ફાઇવ-જી ટેસ્ટ બૅડને તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે.

નિશ્ચિત રીતે, આ એક શાનદાર શરૂઆત છે. મને આશા છે કે આવનારા સમયમાં, આ પ્રકારના અનેક પ્રયાસો જોવા મળશે. મને એ પણ આશા છે કે આઈઆઈટીથી પ્રેરણા લઈને બીજી સંસ્થાઓ પણ સંશોધન અને વિકાસ સાથે જોડાયેલી પોતાની પ્રવૃત્તિઓમાં તેજી લાવશે.

મારા પ્રિય દેશવાસીઓ, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા, આપણા સમાજના કણ-કણમાં સમાહિત છે અને તેને આપણે આપણી ચારે તરફ અનુભૂત કરી શકીએ છીએ. દેશમાં એવા લોકોની ખોટ નથી, જે પર્યાવરણની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે.

કર્ણાટકના બેંગલુરુમાં રહેતા સુરેશકુમારજી પાસેથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તેમનામાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે ગજબની ધગશ છે. વીસ વર્ષ પહેલાં તેમણે શહેરના સહકારનગરના જંગલને ફરીથી લીલુંછમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. આ કામ મુશ્કેલીઓથી ભરપૂર હતું, પરંતુ વીસ વર્ષ પહેલાં લગાવેલા છોડ આજે ૪૦-૪૦ ફીટ ઊંચા વિશાળકાય ઝાડ બની ચૂક્યાં છે. હવે તેમની સુંદરતા પ્રત્યેકનું મન મોહી લે છે. તેથી ત્યાં રહેનારા લોકોને પણ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે. સુરેશકુમારજી બીજું એક અદ્બુત કામ પણ કરે છે. તેમણે કન્નડ ભાષા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે સહકારનગરમાં એક બસ શેલ્ટર પણ બનાવી છે. તેઓ સેંકડો લોકોને કન્નડમાં લખાયેલી પિત્તળની તકતી પણ ભેટમાં આપી ચૂક્યા છે. નિવસન તંત્ર અને સંસ્કૃતિ બંને સાથે-સાથે આગળ વધે અને ફૂલેફાલે, વિચારો…આ કેટલી મોટી વાત છે.

સાથીઓ, આજે પર્યાવરણને અનુકૂળ રહેણીકરણી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો માટે લોકોમાં પહેલાંથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે. મને તમિલનાડુના આવા જ એક રસપ્રદ પ્રયાસ વિશે પણ જાણવાની તક મળી. આ શાનદાર પ્રયાસ કોઇમ્બતૂરના અનાઈકટ્ટીમાં આદિવાસી મહિલાઓની એક ટીમનો છે. આ મહિલાઓએ નિકાસ માટે પર્યાવરણને અનુકૂળ દસ હજાર ટેરાકોટા ટી કપનું નિર્માણ કર્યું.

કમાલની વાત તો એ છે કે ટેરાકોટા ટી કપ બનાવવાની પૂરી જવાબદારી આ મહિલાઓએ સ્વયં ઉપાડી. માટી મિશ્રણથી માંડીને છેવટના પેકેજિંગ સુધી બધાં કામો સ્વયં કર્યાં. તેના માટે તેમણે પ્રશિક્ષણ પણ લીધું હતું. આ અદ્ભુત પ્રયાસની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.

સાથીઓ, ત્રિપુરાનાં કેટલાંક ગામોએ પણ ઘણું મોટુંદૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તમે લોકોએ બાયૉ-વિલેજ તો જરૂર સાંભળ્યું હશે પરંતુ ત્રિપુરાનાં કેટલાંક ગામ, બાયૉ-વિલેજ 2ની સીડી ચડી ગયાં છે. બાયૉ-વિલેજ 2માં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે પ્રાકૃતિક આપત્તિઓથી થનારા નુકસાનને કેવી રીતે ઓછામાં ઓછું કરવામાં આવે. તેમાં વિભિન્ન ઉપાયોથી લોકોના જીવનસ્તરને ઉત્કૃષ્ટ બનાવવા પર પૂરું ધ્યાન આપવામાં આવે છે. સૉલાર એનર્જી, બાયૉગેસ, મધમાખી ઉછેર અને જૈવિક ખાતરો..આ બધાં પર પૂરું ધ્યાન રહે છે. એકંદરે, જો જોઈએ તો આબોહવા પરિવર્તન વિરુદ્ધના અભિયાનને બાયૉ-વિલેજ 2 ખૂબ જ મજબૂતી આપનારું છે. હું દેશના અલગ-અલગ હિસ્સામાં પર્યાવરણ સંરક્ષણ માટે વધી રહેલા ઉત્સાહને જોઈને ખૂબ જ ખુશ છું. કેટલાક દિવસો પહેલાં જ, ભારતમાં, પર્યાવરણની રક્ષા માટે સમર્પિત મિશન લાઇફને પણ શરૂ કરવામાં આવ્યું છે. મિશન લાઇફનો સીધો સિદ્ધાંત છે- એવી જીવનશૈલી, એવી લાઇફસ્ટાઇલને ઉત્તેજન જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. મારો અનુરોધ છે કે તમે પણ મિશન લાઇફને જાણો, તેને અપનાવવાનો પ્રયાસ કરો.

સાથીઓ, કાલે, ૩૧ ઑક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલજીની જયંતિનો પુણ્ય અવસર છે. આ દિવસે દેશના ખૂણેખૂણામાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવે છે. આ દોડ, દેશમાં એકતાના સૂત્રને મજબૂત કરે છે, આપણા યુવાનોને પ્રેરિત કરે છે. આજથી કેટલાક દિવસો પહેલાં, આવી જ ભાવના આપણી રાષ્ટ્રીય રમતો દરમિયાન પણ જોવા મળી. ‘જુડેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા’, આ થીમ સાથે રાષ્ટ્રીય રમતોએ એક તરફ એકતાનો મજબૂત સંદેશ આપ્યો, તો બીજી બાજુ ભારતની રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું કામ પણ કર્યું છે.

 

 

 

 

  • Virudthan May 18, 2025

    🔴🔴🔴JAI SHRI RAM🌺 JAI HIND🔴🔴🔴 🔴🔴BHARAT MATA KI JAI🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴JAI SHRI RAM🌺 JAI HIND🔴🔴🔴 🔴🔴BHARAT MATA KI JAI🔴🔴🔴🔴🔴🔴🔴
  • Ratnesh Pandey April 16, 2025

    भारतीय जनता पार्टी ज़िंदाबाद ।। जय हिन्द ।।
  • Ratnesh Pandey April 10, 2025

    🇮🇳जय हिन्द 🇮🇳
  • Jitendra Kumar April 02, 2025

    🙏🇮🇳❤️
  • Dr srushti March 29, 2025

    namo
  • DASARI SAISIMHA February 27, 2025

    🚩🪷
  • Priya Satheesh January 01, 2025

    🐯
  • Chhedilal Mishra November 26, 2024

    Jai shrikrishna
  • Malek Sufyan November 16, 2024

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • Srikanta kumar panigrahi November 14, 2024

    indiaaaaaaa
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Made in India 5th-gen fighter jet: Government clears indigenous stealth fighter jet project as China arms Pakistan

Media Coverage

Made in India 5th-gen fighter jet: Government clears indigenous stealth fighter jet project as China arms Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Shri N. T. Rama Rao
May 28, 2025

Prime Minister, Shri Narendra Modi, paid homage to Shri N. T. Rama Rao on his birth anniversary, today. "He is widely admired for his efforts to serve society and empower the poor and downtrodden", Shri Modi stated.

The Prime Minister posted on X :

"I pay homage to NTR Garu on his birth anniversary. He is widely admired for his efforts to serve society and empower the poor and downtrodden. His cinematic works also continue to enthral audiences. We are all deeply inspired by him.

The NDA Government in Andhra Pradesh, led by my friend Chandrababu Naidu Garu is working to fulfil NTR’s vision."

@ncbn