QuoteChhath Puja is about worshipping the nature. The sun and water are at the centre of Mahaparva Chhath: PM Modi during #MannKiBaat
QuoteKhadi and Handloom are empowering the poor by bringing positive and qualitative changes in their lives: PM during #MannKiBaat
QuoteNation salutes the jawans who, with their strong determination, secure our borders and keep the nation safe: PM during #MannKiBaat
QuoteOur jawans play a vital role in the UN peacekeeping missions throughout the world: PM during #MannKiBaat
Quote#MannKiBaat: PM Modi says, India is the land of ‘Vasudhiva Kutumbakam’, which means the whole world is our family
QuoteIndia has always spread the message of peace, unity and goodwill, says Prime Minister Narendra Modi during #MannKiBaat
Quote#MannKiBaat: Every child is a hero in the making of a ‘New India’, says the PM Modi
QuoteOutdoor activities are a must for children. Elders must encourage children to move out and play in open fields: PM during #MannKiBaat
QuoteA person of any age can practice yoga with ease. It is simple to learn and can be practiced anywhere: PM Modi during #MannKiBaat
Quote#MannKiBaat: PM Modi says, Guru Nanak Dev ji is not only the first Guru of the Sikhs but also a ‘Jagat Guru’
QuoteSardar Vallabhbhai Patel not only had transformational ideas but had solutions to the most complex problems: PM Modi during #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. દિવાળીના છ દિવસ બાદ મનાવવામાં આવતું મહાપર્વ છઠ, આપણા દેશમાં સૌથી વધુ નિયમ અને નિષ્ઠા સાથે મનાવાતા તહેવારોમાંનું એક છે. જેમાં ખાણી-પીણી થી લઈને વેશભૂષા સુધી, દરેક વાતમાં પારંપારિક નિયમોનું પાલન કરવામાં આવે છે. છઠ પૂજાનું અનુપમ પર્વ પ્રકૃતિથી અને પ્રકૃતિની ઉપાસના સાથે પૂરી રીતે જોડાયેલું છે. સૂર્ય અને જળ, મહાપર્વ છઠની ઉપાસનાના કેન્દ્રમાં છે, તો વાંસ અને માટીથી બનેલા વાસણો તેમજ કંદમૂળ, તેની પૂજનવિધી સાથે જોડાયેલી અભિન્ન સામગ્રીઓ છે. આસ્થાનાં આ મહાપર્વમાં ઉગતા સૂર્યની ઉપાસના અને અસ્ત થતા સૂરજની પૂજાનો સંદેશ અદ્વિતિય સંસ્કારથી પરિપૂર્ણ છે. દુનિયા તો ઉગવાવાળાને જ પૂજવામાં લાગી હોય છે, પરંતુ છઠ પૂજા આપણને તેમની આરાધના કરવાના પણ સંસ્કાર આપે છે જેનો અસ્ત પણ લગભગ નિશ્ચિત જ હોય છે. આપણા જીવનમાં સ્વચ્છતાનાં મહત્વની અભિવ્યક્તિ પણ આ તહેવારમાં સમાયેલી છે. છઠથી પહેલા આખા ઘરની સફાઈ, સાથે જ નદી, તળાવ, પોખરના કિનારે, પૂજા સ્થળ એટલે કે ઘાટની પણ સફાઈ, પૂરા જોશ સાથે બધા લોકો જોડાઈને કરે છે. સૂર્ય વંદના અથવા છઠ પૂજા, પર્યાવરણ સંરક્ષણ, રોગ નિવારણ તેમજ અનુશાસનનું પણ પર્વ છે.

 

સામાન્ય રીતે લોકો કંઈક માંગીને લેવામાં હીન ભાવ સમજે છે, પરંતુ છઠ પૂજામાં સવારના અર્ધ્ય બાદ પ્રસાદ માંગીને ખાવાની એક વિશેષ પરંપરા રહી છે. પ્રસાદ માંગવાની આ પરંપરાની પાછળ એ માન્યતા પણ દર્શાવવામાં આવી છે કે તેનાથી અહંકાર નષ્ટ થાય છે. એક એવી ભાવના જે વ્યક્તિના પ્રગતિની રાહમાં અડચણરૂપ બની જાય છે. ભારતની આ મહાન પરંપરા માટે દરેકને ગર્વ હોવો તે બહુ સ્વાભાવિક છે.

 

મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતની પ્રશંસા પણ થતી રહે છે, આલોચના પણ થતી રહે છે. પરંતુ જ્યારે પણ હું મન કી બાતના પ્રભાવ તરફ નજર કરું છું તો મારો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે આ દેશના જનમાનસ સાથે મન કી બાત સો ટકા અતૂટ સંબંધથી બંધાઈ ગઈ છે. ખાદી અને હાથવણાટનું જ ઉદાહરણ લઈ લો. ગાંધી જયંતી પર હું હંમેશા હાથવણાટ માટે, ખાદી માટે વકીલાત કરતો રહેતો હોઉં છું અને તેનું પરિણામ શું છે! આપને પણ તે જાણીને ખુશી થશે. મને જણાવવામાં આવ્યું છે કે આ મહિને 17 ઓક્ટોબરે ધનતેરસનાં દિવસે દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનનાં સ્ટોરમાં લગભગ એક કરોડ વીસ લાખ રૂપિયાનું રેકોર્ડ વેચાણ થયું છે. ખાદી અને હાથવણાટનું એક જ સ્ટોર પર આટલું મોટું વેચાણ થવું, એ સાંભળીને આપને પણ આનંદ થયો હશે, સંતોષ થયો હશે. દિવાળી દરમિયાન ખાદી ગિફ્ટ કૂપનનાં વેચાણમાં લગભગ 680 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ખાદી અને હસ્તકળાની વસ્તુઓનાં કુલ વેચાણમાં ગત વર્ષ કરતા આ વર્ષે લગભગ 90 ટકા વૃદ્ધિ જોવા મળી છે. એ જ દેખાડે છે કે આજે યુવાનો, વડીલો, મહિલાઓ દરેક વયના લોકો ખાદી અને હાથવણાટને પસંદ કરે છે. હું કલ્પના કરી શકું છું કે, આનાથી કેટલાય વણકર પરિવારોને, ગરીબ પરિવારોને, હાથશાળ પર કામ કરતા પરિવારોને કેટલો લાભ થયો હશે. પહેલા ખાદી ‘ખાદી ફોર નેશન’ હતું અને આપણે ખાદી ફોર ફેશનની વાત કહી હતી. પરંતુ પાછલા કેટલાક સમયથી હું અનુભવે કહી શકું છું કે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન બાદ હવે ખાદી ફોર ટ્રાન્ફોર્મેશનની જગ્યા લઈ રહ્યું છે. ખાદી ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં, હાથવણાટ ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવીને તેમને સશક્ત બનાવવાનું શક્તિશાળી સાધન બનીને ઊભરી રહ્યું છે. ગ્રામોદય માટે આ બહુ મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે.

 

શ્રીમાન રાજન ભટ્ટે નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે તેઓ સુરક્ષાબળો સાથેની મારી દિવાળીનાં અનુભવ વિશે જાણવા માંગે છે અને તેઓ એ પણ જાણવા માગે છે કે આપણા સુરક્ષાદળો કેવી રીતે દિવાળી મનાવે છે. શ્રીમાન તેજસ ગાયકવાડે પણ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે, અમારા ઘરની પણ મિઠાઈ સુરક્ષાદળો સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે કે કેમ? અમને પણ અમારા વીર સુરક્ષાદળોની યાદ આવે છે. અમને પણ લાગે છે કે અમારા ઘરની મિઠાઈ દેશના જવાનો સુધી પહોંચવી જોઈએ. દિવાળી આપ દરેક લોકોએ ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવી હશે. મારા માટે દિવાળી આ વખતે પણ એક વિશેષ અનુભવ લઈને આવી. મને ફરી એકવાર સીમા પર તહેનાત આપણા જાંબાઝ સુરક્ષાદળોની સાથે દિવાળી મનાવવાનું સૌભાગ્ય મળ્યું. આ વખતે જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સુરક્ષાદળો સાથે દિવાળી મનાવવાનું મારે માટે અવિસ્મરણીય રહ્યું. સીમા પર જે કઠિન અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને આપણા સુરક્ષાદળ દેશની રખેવાળી કરે છે તે સંઘર્ષ, સમર્પણ અને ત્યાગ માટે હું દરેક દેશવાસીઓ તરફથી આપણા સુરક્ષાદળોનાં દરેક જવાનોનો આદર કરૂ છું. જ્યાં આપણને અવસર મળે, જયારે આપણને મોકો મળે, આપણા જવાનોનાં અનુભવ જાણવા જોઈએ, તેમની ગૌરવગાથા સાંભળવી જોઈએ. આપણામાંથી કેટલાય લોકોને ખબર નહીં હોય કે, આપણા સુરક્ષાદળના જવાનો, ન માત્ર આપણી સીમા પર પરંતુ વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. યુએન શાંતિદૂત બનીને તેઓ દુનિયામાં હિન્દુસ્તાનનું નામ ઉજાળી રહ્યા છે. હમણાં ગત દિવસોમાં, 24 ઓક્ટોબરે વિશ્વભરમાં UN દિવસ, સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવવામાં આવ્યો. વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનાં યુએનના પ્રયાસો, તેની સકારાત્મક ભૂમિકાને દરેક લોકો યાદ કરે છે. અને આપણે તો વસુધૈવ કુટુંબકમ્ ને માનવાવાળા છીએ એટલે કે આખું વિશ્વ આપણો પરિવાર છે. અને આ જ વિશ્વાસને કારણે ભારત શરૂઆતથી જ યુએનની વિવિધ મહત્વપૂર્ણ પહેલમાં સક્રિય ભાગીદારી નિભાવતું આવ્યું છે.  આપ જાણતા જ હશો કે ભારતના બંધારણની પ્રસ્તાવના અને યુએન ચાર્ટરની પ્રસ્તાવના, બંને ‘WE THE PEOPLE’ શબ્દોથી જ શરૂ થાય છે. ભારતે નારી સમાનતા પર હંમેશા જોર આપ્યું છે અને UN DECLARATION OF HUMAN RIGHTS તેનું જીવતું-જાગતું પ્રમાણ છે. તેના પ્રાથમિક ફકરામાં જે દરખાસ્ત કરવામાં આવી હતી તે હતી, ‘All men are born free and equal’ જેને ભારતના પ્રતિનિધિ હંસા મહેતાના પ્રયાસોથી બદલવામાં આવ્યું અને બાદમાં સ્વિકારાયું, ‘All human beings are born free and equal’. આમ તો આ બહુ નાનો બદલાવ લાગે છે પરંતુ એક તંદુરસ્ત વિચારનાં તેમાં દર્શન થાય છે. યુએનની ક્રિયાકલાપોમાં ભારતે જે એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તે છે UN PEACEKEEPING OPERATIONS માં ભારતની ભૂમિકા. સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ-રક્ષા મિશનમાં ભારત હંમેશા મોટી સક્રિય ભૂમિકા નિભાવતું રહ્યું છે. આપના માંથી ઘણાં લોકો હશે જેમને આ માહિતી પ્રથમવાર મળી રહી હશે. 18 હજારથી પણ વધુ ભારતીય સુરક્ષાદળોએ UN PEACEKEEPING OPERATIONS માં તેમની સેવાઓ આપી છે. વર્તમાનમાં ભારતના લગભગ સાત હજાર સૈનિક UN PEACEKEEPING INITIATIVES સાથે જોડાયેલા છે અને તે આખા વિશ્વમાં ત્રીજો સર્વાધિક આંકડો છે. ઓગસ્ટ 2017 સુધી ભારતીય જવાનોએ યુએનનાં વિશ્વભરનાં 71 PEACEKEEPING OPERATIONS માંથી લગભગ 50 OPERATIONS માં પોતાની સેવાઓ આપી છે. આ OPERATIONS કોરિયા, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ, કોંગો, સાયપ્રસ, લાઈબેરિયા, લેબેનોન, સુદાન, વિશ્વનાં ભૂ-ભાગોમાં કેટલાય દેશોમાં ચાલે છે. કોંગો અને દક્ષિણ સુદાનમાં ભારતીય સેનાનાં હોસ્પિટલમાં 20 હજારથી વધુ રોગીઓનો ઈલાજ કરવામાં આવ્યો છે અને અગણિત લોકોને બચાવવામાં આવ્યા છે. ભારતના સુરક્ષાદળોએ વિભિન્ન દેશોમાં ન માત્ર ત્યાંના લોકોની રક્ષા કરી છે, પરંતુ People Friendly Operations કરીને તેમના દિલ પણ જીતી લીધા છે. ભારતીય મહિલાઓએ શાંતિ સ્થાપિત કરવાના કાર્યોમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે, ભારત પ્રથમ દેશ હતો જેણે લાઈબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાન મિશનમાં Female Police Unit મોકલ્યું હતું. અને જુઓ, ભારતનું આ પગલું વિશ્વભરના દેશો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયું. અને ત્યારબાદ બધા દેશોએ પોતપોતાનાં Women Police Unit મોકલવાનું શરૂ કર્યું. આપને સાંભળીને ગર્વ થશે કે ભારતની ભૂમિકા માત્ર Peacekeeping Operations  સુધી જ સીમિત નથી પરંતુ ભારત લગભગ 85 દેશના Peacekeepersને પ્રશિક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે. મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધની આ ભૂમિથી આપણાં બહાદૂર શાંતિ રક્ષકોએ વિશ્વભરમાં શાંતિ અને સદ્ભાવનો સંદેશ પહોંચાડ્યો છે. Peacekeeping Operations સરળ કાર્ય નથી. આપણા સુરક્ષાદળોના જવાનોને દુર્ગમ વિસ્તારોમાં જઈને કામ કરવું પડે છે. અલગ-અલગ લોકો વચ્ચે રહેવું પડે છે. ભિન્ન-ભિન્ન પરિસ્થિતિઓ અને અલગ-અલગ સંસ્કૃતિને જાણવી-સમજવી પડે છે. તેમને ત્યાંની સ્થાનિક જરૂરિયાતો, માહોલને અનુરૂપ પોતાને ઢાળવા પડે છે. આજે જ્યારે આપણા બહાદુર UN Peacekeepers ને યાદ કરીએ છીએ તો કેપ્ટન ગુરૂબચન સિંહ સલારિયાને કોણ ભૂલી શકે, જેમણે આફ્રિકાના કોંગોમાં શાંતિ માટે લડતા, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. તેમને યાદ કરીને દરેક દેશવાસીની છાતી ગર્વથી ફૂલી જાય છે. તેઓ એકમાત્ર UN Peacekeeper હતા. વીર પુરૂષ હતા જેને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. લેફ્ટેનન્ટ જનરલ પ્રેમચંદજી, એ ભારતીય Peacekeeperમાંના એક છે જેમણે સાયપ્રસમાં વિશિષ્ટ ઓળખ ઉભી કરી. 1989માં 72 વર્ષની વયે તેમને નામિબિયામાં Operation માટે ફોર્સ કમાન્ડર બનાવવામાં આવ્યા અને તેમણે તે દેશની આઝાદી સુનિશ્ચિત કરવા માટે પોતાની સેવાઓ પ્રદાન કરી. જનરલ થિમૈય્યા, જે ભારતીય સેનાનાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે સાયપ્રસમાં UN Peacekeeping Force નું નેતૃત્વ કર્યું અને શાંતિ કાર્યો માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. ભારત શાંતિદૂતના રૂપમાં હંમેશા વિશ્વમાં શાંતિ, એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપતું રહ્યું છે. આપણો વિશ્વાસ છે કે દરેક લોકો શાંતિ, સદભાવ સાથે જીવે અને એક વધુ સારી તેમજ શાંતિપૂર્ણ આવતીકાલનાં નિર્માણની દિશામાં આગળ વધે.

 

મારા પ્રિય દેશવાસીઓ આપણી પુણ્યભૂમિ એવા મહાન લોકોથી સુશોભિત રહી છે જેમણે નિસ્વાર્થ ભાવ સાથે માનવતાની સેવા કરી છે. સિસ્ટર નિવેદિતા, જેમને આપણે ભગિની નિવેદિતા પણ કહીએ છીએ, તે પણ એ અસાધારણ લોકોમાંના એક હતા. તેઓ આયરલેન્ડમાં માર્ગરેટ એલિઝાબેથ નોબેલના રૂપમાં જન્મી હતી પરંતુ

સ્વામી વિવેકાનંદે તેમને નિવેદિતા નામ આપ્યું. અને નિવેદિતાનો અર્થ છે, એ જે પૂર્ણ રૂપથી સમર્પિત હોય. પછીથી તેમણે તેમના નામને અનુરૂપ જ સ્વયંને સિદ્ધ કરી દેખાડી. કાલે સિસ્ટર નિવેદિતાની 150 મી જયંતી હતી. તેઓ સ્વામી વિવેકાનંદથી એટલા પ્રભાવિત થયા કે પોતાના સુખી સંપન્ન જીવનનો ત્યાગ કરી દીધો અને પોતાના જીવનને ગરીબોની સેવા માટે સમર્પિત કરી દીધું. સિસ્ટર નિવેદિતા બ્રિટિશ રાજમાં થતા અત્યાચારોથી ઘણા દુઃખી હતા. અંગ્રેજોએ ન માત્ર આપણા દેશને ગુલામ બનાવ્યો હતો પરંતુ તેમણે આપણને માનસિક રૂપથી પણ ગુલામ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આપણી સંસ્કૃતિને નીચી દેખાડીને, આપણામાં હીન ભાવના પેદા કરવી, આ કામ નિરંતર ચાલતું રહેતું હતું. ભગિની નિવેદિતાજીએ ભારતીય સંસ્કૃતિના ગૌરવને પુનઃસ્થાપિત કર્યું. રાષ્ટ્રિય ચેતના જાગૃત કરીને લોકોને એક કરવાનું કામ કર્યું. તેમણે વિશ્વના અલગ-અલગ દેશોમાં જઈને સનાતન ધર્મ અને દર્શન વિશે કરાતા દુષ્પ્રચારોના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી તેમજ તમિલ કવિ સુબ્રમણ્ય ભારતી પોતાની ક્રાંતિકારી કવિતા ’પુદ્દુમઈ પેન્ન’, New women અને મહિલા સશક્તિકરણ માટે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે તેની પ્રેરણા ભગિની નિવેદિતા જ હતાં. ભગિની નિવેદિતાજીએ મહાન વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બસુને પણ સહયોગ આપ્યો. તેમણે પોતાના લેખ અને સંમેલનોના માધ્યમથી બસુનાં સંશોધનનાં પ્રકાશન તેમજ પ્રચારમાં સહાયતા કરી. ભારતની આ જ એક વિશેષ સુંદરતા છે કે આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, એકબીજાનાં પૂરક છે.

 

ભગિની નિવેદિતા અને વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુ તેનાં મજબૂત ઉદાહરણ છે. 1899માં કોલકાતામાં ભયાનક પ્લેગ થયો અને જોતજોતામાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં. ભગિની નિવેદિતાએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર નીક અને સડકોની સફાઈનું કામ શરૂ કરી દીધું. તેઓ એક એવાં મહિલા હતાં જેઓ આરામદાયક જીવન જીવી શકતા હતા પરંતુ તેઓ ગરીબોની સેવાને સમર્પિત રહ્યાં. તેમના આ ત્યાગમાંથી પ્રેરણા મેળવીને લોકો સેવા કાર્યોમાં તેમની સાથે જોતરાયા. તેમણે પોતાનાં કાર્યો દ્વારા લોકોને સ્વચ્છતા અને સેવાનો મહત્ત્વનો પાઠ ભણાવ્યો. અને તેમની સમાધિ પર લખેલું છે – “’Here reposes Sister Nivedita who gave her all to India’”-  “અહીં ભગિની નિવેદિતા વિશ્રામ કરી રહ્યાં છે જેમણે પોતાનું સર્વસ્વ ભારતને અર્પિત કરી દીધું.” નિઃસંદેહ તેમણે આવું જ કર્યું હતું. આ મહાન વ્યક્તિત્વ માટે આજે તેમને એનાથી બીજી યોગ્ય શ્રદ્ધાંજલિ કોઈ ન હોઈ શકે કે પ્રત્યેક ભારતવાસી તેમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતે તે સેવા પથ પર ચાલવાનો પ્રયાસ કરે.

ફૉન કોલઃ માનનીય પ્રધાનમંત્રીજી, મારું નામ ડૉ. પાર્થ શાહ છે 14 નવેમ્બરને આપણે બાળ દિવસના રૂપમાં મનાવીએ છીએ કારણ કે, તે આપણા પહેલા વડા પ્રધાન જવાહરલાલજીનો જન્મદિવસ છે. તે દિવસને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ મનાવાય છે. ડાયાબિટીસ માત્ર મોટાઓને થતો રોગ જ નથી, તે ઘણાં બધાં બાળકોમાં પણ જોવા મળે છે. તો આ પડકાર માટે આપણે શું કરી શકીએ?

તમારા ફૉન કૉલ માટે ધન્યવાદ. સૌથી પહેલાં તો આપણા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂજીના જન્મદિન પર મનાવાતા ચિલ્ડ્રન્સ ડે, બાળ દિવસ પર બધાં બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. બાળકો નવા ભારતના નિર્માણના સૌથી મહત્ત્વપૂર્ણ હીરો છે-નાયક છે. તમારી ચિંતા સાચી છે કે, પહેલાં જે બીમારીઓ મોટી ઉંમરમાં આવતી હતી, જીવનના અંતિમ તબક્કા આસપાસ આવતી હતી તે આજકાલ બાળકોમાં પણ દેખાવા લાગી છે. આજે ઘણું આશ્ચર્ય થાય છે જ્યારે આપણે સાંભળીએ છીએ કે બાળકો પણ ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે. પહેલાંના જમાનામાં આવા રોગોને ”રાજરોગ’’ના નામથી ઓળખવામાં આવતો હતો. રાજરોગ અર્થાત્ એવી બીમારીઓ જે માત્ર સંપન્ન લોકોને, ભોગવિલાસની જિંદગી જીવનારાઓને જ થતી હતી. યુવાનોમાં આવી બીમારીઓ ભાગ્યે જ થતી હતી. પરંતુ આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. આજે આ બીમારીઓને લાઇફસ્ટાઇલ ડિસઑર્ડરના નામથી ઓળખવામાં આવે છે. યુવાવસ્થામાં આ પ્રકારની બીમારીથી ગ્રસ્ત થવાનું એક પ્રમુખ કારણ છે- આપણી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિઓમાં ખામી અને આપણી ખાણીપીણીની રીતભાતમાં પરિવર્તન. સમાજ અને પરિવારે આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે તેઓ તેના પર વિચારશે તો તમે જોજો કે કંઈ સવિશેષ કરવાની જરૂર નથી. બસ જરૂર છે, નાની-નાની વાતોને સાચી રીતે, નિયમિત રીતે કરતા રહીને પોતાની ટેવ બદલવાની, તેને પોતાનો એક સ્વભાવ બનાવવાની. હું તો ઈચ્છીશ કે પરિવારજનો સભાનપણે એ પ્રયાસ કરે કે, બાળકો ખુલ્લા મેદાનમાં જવાની ટેવ અપનાવે. સંભવ હોય તો આપણે પરિવારનાં મોટા લોકો પણ આ બાળકો સાથે જરા ખુલ્લામાં જઈને રમીએ. બાળકોને લિફ્ટમાં ઉપર આવવાજવાના બદલે દાદરા ચડીને જવાની ટેવ પાડો. રાતના ભોજન પછી આખો પરિવાર બાળકોને સાથે રાખીને થોડું ચાલે. યોગ ફૉર યંગ ઇન્ડિયા. યોગ, વિશેષ રૂપે આપણા યુવાન મિત્રોને એક તંદુરસ્ત જીવનશૈલી બનાવી રાખવા માટે અને લાઇફસ્ટાઇલ ડિસઑર્ડરથી બચાવવામાં મદદગાર સાબિત થશે. શાળાએ જતા પહેલાં 30 મિનિટનો યોગ, જુઓ કેટલો લાભ થાય છે. ઘરમાં પણ કરી શકો છો અને યોગની વિશેષતા પણ એ જ છે- તે સહજ છે, સરળ છે, સર્વ-સુલભ છે અને હું સહજ એટલા માટે કહી રહ્યો છું કે, કોઈ પણ વયની વ્યક્તિ સરળતાથી કરી શકે છે. સરળ એટલા માટે છે કે, સરળતાથી શીખી શકાય છે અને સર્વ-સુલભ એટલા માટે છે કારણકે ક્યાંય પણ કરી શકાય છે- વિશેષ સાધનો કે મેદાનની જરૂરિયાત નથી. ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં યોગ કેટલો અસરકારક છે તે જાણવા અનેક અભ્યાસો-સંશોધનો થઈ રહ્યાં છે. એઇમ્સમાં પણ તેના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં જે પરિણામો આવ્યાં છે તે ઘણાં પ્રોત્સાહક છે. આયુર્વેદ અને યોગને આપણે માત્ર ઉપચાર-ટ્રીટમેન્ટના માધ્યમ તરીકે જ ન જોઈએ, તેને આપણે આપણા જીવનનો ભાગ બનાવીએ.

મારા પ્રિય દેશવાસીઓ, ખાસ કરીને મારા યુવા સાથીઓ, રમતના ક્ષેત્રમાં ગત દિવસોમાં સારા સમાચારો આવ્યા છે. અલગ-અલગ રમતોમાં આપણા ખેલાડીઓએ આપણા દેશનું નામ ઉજાળ્યું છે. હોકીમાં ભારતે શાનદાર રમત રમીને એશિયા કપ હૉકીનો ખિતાબ જીત્યો છે. આપણા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને તેના બળે ભારત દસ વર્ષ પછી એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. આ અગાઉ ભારત 2003 અને 2007માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. સમગ્ર ટીમ અને મદદગાર સ્ટાફને મારા તરફથી, દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

 હૉકી પછી બૅડમિન્ટનમાં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. બૅડમિન્ટ સ્ટાર કિદામ્બી શ્રીકાંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ડેન્માર્ક ઑપનનો ખિતાબ જીતીને દરેક ભારતીયમાં ગૌરવની લાગણી જન્માવી છે. ઇન્ડૉનેશિયા ઑપન અને ઑસ્ટ્રેલિયા ઑપન પછી તેમનો આ ત્રીજો સુપર સીરિઝ પ્રીમિયર ખિતાબ છે. હું આપણા યુવા સાથીને તેમની આ સિદ્ધિ માટે અને ભારતનું ગૌરવ વધારવા માટે ઘણા ઘણા અભિનંદન પાઠવું છું. 

દોસ્તો, આ મહિને ફિફા અંડર-17 વિશ્વ કપનું આયોજન થયું. વિશ્વભરની ટીમો ભારત આવી અને બધાએ ફૂટબૉલના મેદાન પર પોતાની આવડત દેખાડી. મને પણ એક મેચમાં જવાનો અવસર મળ્યો. ખેલાડીઓ-દર્શકો બધામાં ભારે ઉત્સાહ હતો. વિશ્વકપનો આટલો મોટો પ્રસંગ, સમગ્ર વિશ્વ તમને જોઈ રહ્યો હોય… આટલી મોટી મેચ… હું તો બધા યુવા ખેલાડીઓની  ઊર્જા, ઉત્સાહ, કંઈક કરી દેખાડવાની ભાવનાને જોઈને દંગ થઇ ગયો હતો. વિશ્વકપનું આયોજન સફળતાપૂર્વક થયું અને બધી ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભલે, ભારત ખિતાબ ન જીતી શક્યું પરંતુ ભારતના યુવા ખેલાડીઓએ બધાનું દિલ જીતી લીધું. ભારત સહિત સમગ્ર વિશ્વએ ખેલના આ મહોત્સવને માણ્યો અને આ આખી સ્પર્ધા ફૂટબૉલ પ્રેમીઓ માટે રોચક અને મનોરંજક રહી. ફૂટબૉલનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે, તેના સંકેત નજરે પડી રહ્યા છે. હું એક વાર ફરી બધા ખેલાડીઓને, તેમના સહયોગીઓને અને બધા રમતપ્રેમીઓને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છ ભારતના વિષયમાં મને જેટલા લોકો લખે છે, મને લાગે છે કે તેમની ભાવનાઓ સાથે જો હું ન્યાય કરવાનું વિચારું તો મારે રોજ “મન કી બાત”નો કાર્યક્રમ કરવો પડશે અને દરરોજ મારે સ્વચ્છતાના વિષય પર જ “મન કી બાત”ને સમર્પિત કરવી પડશે. કોઈ ભૂલકાઓનાં પ્રયાસોનાં ફૉટા મોકલે છે, તો ક્યાંક યુવાઓનાં સામૂહિક પ્રયાસોનાં કિસ્સા હોય છે. ક્યાંક સ્વચ્છતાને લઈને કોઈ ઇનોવેશનની વાત હોય છે અથવા તો પછી કોઈ અધિકારીનાં જનૂનના લીધે આવેલા પરિવર્તનનાં સમાચાર હોય છે. ગત દિવસોમાં મને એક બહુ જ વિગતવાર અહેવાલ મળ્યો છે, જેમાં મહારાષ્ટ્રનાં ચંદ્રપુર કિલ્લાનાં કાયાપલટની એક વાત છે. ત્યાં ઇકૉલૉજિકલ પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશન નામની એક એનજીઓની આખી ટીમે ચંદ્રપુર કિલ્લાની સફાઈનું અભિયાન હાથ ધર્યુ. બસ્સો દિવસો સુધી ચાલેલા આ અભિયાનમાં લોકોએ વગર અટક્યે, વગર થાકે એક ટીમ વર્ક સાથે કિલ્લાની સફાઈનું કાર્ય કર્યું. બસ્સો દિવસ સતત! તેમણે સફાઈ પહેલાં અને સફાઈ પછીના કિલ્લાની તસવીરો મને મોકલી છે. ફૉટો જોઈને હું દંગ રહી ગયો અને જે પણ આ ફોટાઓને જોશે તેમનાં મનમાં પણ પોતાની આસપાસ ગંદકીને જોઈને ક્યારેક નિરાશા થતી હોય, ક્યારેક તેમને લાગતું હોય કે સ્વચ્છતાનું સપનું કેવી રીતે પૂરૂ થશે તો હું તેમને કહીશ કે, ઇકૉલૉજિકલ પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશનના યુવાઓને, તેમના પરસેવાને, તેમના ઉમંગને, તેમનાં સંકલ્પને તમે જીવંત તસવીરોમાં તમે જોઈ શકો છો. તેને જોતાં જ તમારી નિરાશા વિશ્વાસમાં ફેરવાઈ જશે. સ્વચ્છતાનો આ ભગીરથ પ્રયાસ સૌંદર્ય, સામૂહિકતા અને સાતત્યતાનું એક અદ્ભુત ઉદાહરણ છે. કિલ્લા તો આપણા વારસાનું પ્રતીક છે. ઐતિહાસિક વારસાઓને સુરક્ષિત અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સહુ દેશવાસીઓની છે. હું ઇકૉલૉજિકલ પ્રૉટેક્શન ઑર્ગેનાઇઝેશને અને તેની સમગ્ર ટીમને અને ચંદ્રપુરના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આગામી 4 નવેમ્બરે આપણે બધા ગુરૂ નાનક જયંતી મનાવીશું. ગુરૂ નાનક દેવજી, શીખોના પહેલા ગુરૂ જ નહીં, પરંતુ જગદ્ગુરૂ છે. તેમણે સમગ્ર માનવજાતના કલ્યાણ વિશે વિચાર્યું, તેમણે બધી જાતિઓને એક સમાન ગણાવી. મહિલા સશક્તિકરણ અને નારી સન્માન પર તેમણે ભાર મૂક્યો હતો. ગુરૂ નાનક દેવજીએ પગપાળા 28 હજાર કિલોમીટર યાત્રા કરી અને પોતાની આ યાત્રા દરમિયાન તેમણે સાચી માનવતાનો સંદેશો આપ્યો. તેમણે લોકો સાથે સંવાદ કર્યો, તેમને સચ્ચાઈ, ત્યાગ અને કર્મનિષ્ઠાનો માર્ગ દેખાડ્યો. તેમણે સમાજમાં સમાનતાનો સંદેશ આપ્યો અને પોતાના આ સંદેશને વાતોથી જ નહીં, પોતાનાં કર્મોથી કરીને બતાવ્યો. તેમણે લંગર ચલાવ્યું જેનાથી લોકોમાં સેવાભાવના જન્મી. સાથે બેસીને લંગર ગ્રહણ કરવાથી લોકોમાં એકતા અને સમાનતાનો ભાવ જાગૃત થયો. ગુરુ નાનક દેવજીએ સાર્થક જીવનના ત્રણ સંદેશ આપ્યા- પરમાત્માનું નામ જપો, મહેનત કરો, કામ કરો અને જરૂરિયાતમંદોની મદદ કરો. ગુરૂ નાનક દેવજીએ પોતાની વાત કહેવા માટે ‘ગુરબાણી’ની રચના પણ કરી હતી. આગામી વર્ષ 2019માં આપણે ગુરૂ નાનક દેવજીનું 550મું પ્રકાશ વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ. આવો, આપણે તેમના સંદેશ અને શિક્ષાનાં માર્ગ પર આગળ વધવાનો પ્રયાસ કરીએ.

મારા પ્રિય દેશવાસીઓ, બે દિવસ પછી 31 ઑક્ટોબરે આપણે સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી મનાવીશું. આપણે બધા જાણીએ છીએ કે આધુનિક અખંડ ભારતનો પાયો તેમણે નાખ્યો હતો. ભારત માતાનાં આ મહાન સંતાનની અસાધારણ યાત્રામાંથી આજે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. 31 ઑક્ટોબરે શ્રીમતી ઈન્દિરા ગાંધી પણ આ દુનિયાને છોડીને ચાલ્યાં ગયાં. સરદાર વલ્લભભાઈ પટેલની વિશેષતા એ હતી કે તેઓ ન માત્ર પરિવર્તનકારી વિચાર આપતા હતા પરંતુ તેઓ તેને કરીને દેખાડવા માટે ખૂબ જ જટિલ સમસ્યાનો વ્યવહારિક ઉકેલ શોધી કાઢવામાં નિપુણ પણ હતા. વિચારને સાકાર કરવામાં તેમને ફાવટ હતી. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક સૂત્રમાં બાંધવાનું સુકાન સંભાળ્યું. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે કરોડો ભારતવાસીઓને ‘એક રાષ્ટ્ર અને એક બંધારણ’ની છત્રછાયામાં લાવવામાં આવે. તેમની નિર્ણયક્ષમતાએ તેમને બધા અવરોધોને પાર કરવાનું સામર્થ્ય આપ્યું. જ્યાં માન-મનામણાંની જરૂર હતી ત્યાં તેમણે માન-મનામણાં કર્યા, જ્યાં બળપ્રયોગની જરૂર હતી ત્યાં બળપ્રયોગ કર્યો. તેમણે એક ઉદ્દેશ્ય નિશ્ચિત કરી લીધો અને પછી માત્ર તેની તરફ પૂરી દૃઢતાથી તેઓ આગળ વધતા જ ગયા, વધતા જ ગયા. દેશને એક કરવાનું આ કાર્ય માત્ર તેઓ જ કરી શકે એમ હતા જેમણે એક એવા રાષ્ટ્રની પરિકલ્પના કરી જ્યાં બધા લોકો સમાન હોય, તેમણે કહ્યું હતું અને હું ઈચ્છીશ કે સરદાર વલ્લભભાઈ પટેલની આ વાત સદા-સર્વદા આપણા બધા માટે પ્રેરણાદાયક છે. તેમણે કહ્યું હતું, “જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી ન શકે, બધા ભારતના દીકરા અને દીકરીઓ છે, આપણે બધાએ પોતાના દેશને પ્રેમ કરવો જોઈએ અને પારસ્પરિક પ્રેમ અને સદભાવના પર પોતાની નિયતિનું નિર્માણ કરવું જોઈએ. ”

સરદાર સાહેબનું આ કથન આજે પણ આપણા ન્યૂ ઇન્ડિયાના વિઝન માટે પ્રેરક છે, પ્રાસંગિક છે. અને આ જ કારણ છે કે તેમનો જન્મ દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રૂપમાં મનાવાય છે. દેશને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપવામાં તેમનું યોગદાન અતુલનીય છે. સરદાર સાહેબની જયંતીનાં અવસર પર 31 ઑક્ટોબરે દેશભરમાં ‘રન ફૉર યૂનિટી’નું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરમાંથી બાળકો, યુવાનો, મહિલાઓ, બધી જ ઉંમર-વર્ગના લોકો સામેલ થશે. મારો આપ સહુને અનુરોધ છે કે તમે પણ ‘રન ફૉર યૂનિટી’- પરસ્પર સદભાવનાનાં આ ઉત્સવમાં ભાગ લો.

મારા પ્રિય દેશવાસીઓ, દિવાળીની રજાઓ પછી, નવા સંકલ્પ સાથે, નવા નિશ્ચય સાથે, આપ સહુ પોતાની રોજિંદી જિંદગીમાં ફરી એક વાર જોડાઈ ગયા હશો. મારા તરફથી દેશવાસીઓને, તેમનાં બધાં સપનાં સાકાર થાય, તેવી શુભકામનાઓ છે.

ખૂબ ખૂબ ધન્યવાદ. 

  • Chhedilal Mishra December 05, 2024

    Jai shrikrishna
  • ram Sagar pandey November 07, 2024

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹
  • Pradhuman Singh Tomar July 31, 2024

    bjp
  • rida rashid February 19, 2024

    jay ho
  • ज्योती चंद्रकांत मारकडे February 08, 2024

    जय हो
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
  • Diwakar Sharma December 20, 2023

    namo namo
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 24, 2023

    नमो नमो नमो नमो नमो नमो
  • ranjeet kumar August 07, 2022

    jay sri ram🙏🙏🙏
  • Jayanta Kumar Bhadra July 13, 2022

    Jay Jay Ram
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
For PM Modi, women’s empowerment has always been much more than a slogan

Media Coverage

For PM Modi, women’s empowerment has always been much more than a slogan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 માર્ચ 2025
March 08, 2025

Citizens Appreciate PM Efforts to Empower Women Through Opportunities