
નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ
ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતું ગુજરાત
મુખ્ય નર્મદા કેનાલ ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટનું સપનું સાકાર
ચંદ્રાસણની સીમમાં નર્મદા નહેર ઉપર 1 કિ.મી. લંબાઇની સોલાર પેનલો દ્વારા 1 મેગાવોટ સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન રાષ્ટ્રને સમર્પિત કરતા મુખ્યમંત્રીશ્રી
કેનાલ-સોલારની આ મિલન શક્તિનું તીર્થ ગુજરાત બન્યું છે
કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન કરતાં સૌર ઉર્જાથી ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડ બચશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં સર્વ પ્રથમ પહેલરૂપે નર્મદા કેનાલ ટોપ સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલ ૪૫૮ કિ.મી. લાંબી નહેર ઉપર પણ સોલાર પાવર પ્રોજેક્ટની શૃંખલા ઉભી કરવાનું ગુજરાતનું સપનું પાર પાડયું છે. કેનાલ સોલારના મિલનનું તીર્થ ક્ષેત્ર ગુજરાત બન્યું છે. ગુજરાતે હવે નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર-પેનલ અને તેની નીચેના વહેતા નહેરના પાણીમાં માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ગોઠવીને જળ વિઘુત પેદા કરવાના સંશોધન પણ હાથ ધર્યા છે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉર્જાશક્તિ અને જળશક્તિના સમન્વયની ઐતિહાસિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરાવતો નર્મદા નહેર ઉપર એક કિ.મી. લંબાઇની સોલાર પેનલો ગોઠવીને એક મેગાવોટ વીજ ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યમંત્રીશ્રીના સંકલ્પની ફલશ્રૃતિ છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવાની દિશા શોધી રહ્યું છે ત્યારે એક માત્ર ગુજરાત સરકારે મુખ્યમંત્રીશ્રીની રાજકીય ઇચ્છાશક્તિ વાસ્તવિક રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક સાકાર કરી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.
સૂર્ય ઉર્જાના ક્ષેત્રે ચર્ચા સમગ્ર દુનિયા કરી રહી છે તેનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ જેની નોંધ લે છે તે ભારતને ગૌરવ અપાવે છે. ઉર્જા ક્ષેત્રે જ્યોતિગ્રામ યોજનાનો આવિષ્કાર કરીને ગુજરાતે અકલ્પનીય ક્રાંતિ કરી હતી અને ૧૦૦૦ દિવસમાં જ ટેકનોલોજીથી ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજળી નિરંતર આપવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને હવે દુનિયાનું સૌથી લાંબામાં લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર સૂર્ય ઉર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ અને ઉર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઉર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા ખોલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેનાલ ઉપર સોલાર પેનલથી મળતી વીજળી ૧૬ ટકા વધારે મળે છે એની ચર્ચા પણ દુનિયાના સૌર ઉર્જા ટેકનો ક્રેટ તજજ્ઞો કરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે. નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલ દ્વારા સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવાની ગુજરાતની આ પહેલથી ભવિષ્યમાં રૂા. ૮ થી રૂા. ૮.૫૦ પ્રતિ યુનિટ જેવા સસ્તા દરે વીજળી મળતી થશે. આજે ગુજરાતે સૂર્ય ઉર્જાથી ૬૦૦ મેગાવોટ સૂર્ય ઉર્જાનો વીજ પ્રકલ્પ દેશને આપ્યો છે. જેને કારણે કોલસાની ૭.૫ લાખ ટન બચત થવાની છે જેની કિંમત વાર્ષિક રૂા. ૧૨૫ કરોડ જેટલી થશે અને કોલસાના રેલ્વે પરિવહનનો ખર્ચ પણ વર્ષે રૂા. ૧૩૫ કરોડ જેટલો બચશે. આમ વર્ષે રૂા. ૨૬૦ કરોડ અને ૨૫ વર્ષમાં રૂા. ૬૫૦૦ કરોડની બચત રાષ્ટ્રને થવાની છે. આના પરિણામે વાર્ષિક ૮ લાખ ટન કાર્બન એમિશન થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કડી અને સાણંદ તાલુકાને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. કેનાલ સોલાર પાવર પ્લાન્ટના આરંભ સાથે કડીને વિશ્વના નકશામાં રાજ્ય સરકારે આગવું સ્થાન અપાવ્યું છે. તેઓએ કડીને ગૌરવ અપાવતાં કહ્યું કે, નર્મદાનું પાણી કેનાલ મારફત કડી તાલુકાને જ સૌપ્રથમ પહોંચ્યું હતું. એ ધટનાના દાયકા પછી ફરી એકવાર પ્રતિષ્ઠા મળી છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે. શ્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકારની ખેડૂતોનું હિત હૈયે ધરીને અમલમાં મૂકાયેલી યોજનાઓની વિગતો આપીને કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં રોજના ૭ કરોડ યુનિટ વીજળી ખેડૂતોને આપવામાં આવે છે તેની વિગતો આપીને ગુજરાતને દેશના પાવર કેપિટલની ઓળખ મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ગુજરાતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં સરકાર વધારો કરી રહી હોવાનો સંદર્ભ આપીને ચાલુ વર્ષે નવા એક લાખ વીજ કનેકશનો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને ૩૦૦૦ કરોડની સબસીડી આપી હોવાનું જણાવીને તેઓએ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.
રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદસભ્ય શ્રી નટુજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ-પદાધિકારીઓ, સરદાર સરોવર નિગમના ડિરેકટર શ્રી વસંતભાઇ રાવલ, ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના સચિવ શ્રી બી. જે. પાંડિયેન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી જગદીશન સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.