
ગાંધીજીના આ હસ્તલિખિત વિચાર ગ્રંથમાં ભારતની આત્માની પહેચાન કરવાની અને ભારતની સાચી સંસ્કૃતિની ઓળખ કરાવવાની પ્રતિબધ્ધતા વ્યકત થઇ રહી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી અને ૧૦૦ વર્ષ પહેલાંના મહાત્મા ગાંધીના હિન્દ વિશેના વિચારો આજે પણ પ્રસ્તુત છે તેમ જણાવ્યું હતું. આ દેશની કેટલીયે સમસ્યાનું સમાધાન ગાંધી ચિંધ્યા માર્ગે જ આજે પણ થઇ શકે છે. એવો આ બહુમૂલ્ય ગ્રંથ અને ગુજરાત સરકાર આજે ગાંધીજીના આદર્શોને પગલે ચાલી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગાંધીજીના ખાદી વપરાશના આગ્રહ સંદર્ભમાં ગુજરાત સરકારે ખાદીના ગાંધી વિચારને પ્રેરિત કરીને ખાદી વેચાણ સફળ બનાવવા માટેનું અભિયાન કર્યું છે. ગાંધી વિચારના ગાણાં ગાનારા કરતાં ગુજરાત સરકાર ગાંધીજીના પગલે ચાલી રહી છે.
ગાંધીજી રકતપિતના દર્દીઓની સેવાપરાયણ હતા પરંતુ, રકતપિતની હોસ્પિટલને તાળાં લગાડવાનું તેમનું સપનું હતું અને ગુજરાત સરકારે અમદાવાદમાં રકતપિત હોસ્પિટલ બંધ કરી છે રકતપિત નિર્મૂલનનું સપનું સિધ્ધ કર્યું છે. ગાંધીજીના સપના પૂરાં કરવા માટે શાસન રાજકીય ઇચ્છાશકિતથી પ્રતિબધ્ધ હોય તો આ ગાંધી વિચાર સાકાર થઇ શકે છે તે ગુજરાત સરકારે પૂરવાર કર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. સાંજના સમયે વાળુ કરવા વીજળીનું સપનું પુરૂં કરવા ગુજરાતે જ્યોતિગ્રામ દ્વારા ર૪ કલાક ગામડામાં વીજળી આપી દીધી છે, એટલું જ નહીં, રાજનૈતિક ચૂંટણીના વેર-ઝેરના વાતાવરણ નિવારીને ગામડાંને વિકાસ માટે સમરસતા તરફ પ્રેરિત કરી ૪પ ટકા ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી કરીને સમરસગ્રામ બનાવ્યા છે.
ગાંધી વિચારોને શાસન દ્વારા સાકાર કરવાની અનેકવિધ પહેલ કરી છે. જળસંચય અને પ્રકૃતિપ્રેમના આદર્શને અને પ્રાકૃતિક સંશાધનોને ધરતીના વિકાસ સાથે જોડવાની પણ ગુજરાતે પહેલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. અંત્યોદયની ચિંતા કરીને અને ગરીબમાં ગરીબને ગરીબીમાંથી બહાર લાવવાની ગાંધીજીની ખેવના સાકાર કરવા શ્રમયોગી યોજના પણ ગુજરાત સરકારે અમલી બનાવી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ભારતની આત્માને સુરક્ષિત રાખીને જ ભારતના વિકાસ માટેના હિન્દ સ્વરાજ્યમાંથી મહાત્મા ગાંધીજીના વિચારોને આત્મસાત કરી શકાય એવું વાતાવરણ સર્જવાનું પ્રેરક આહવાન તેમણે કર્યું હતું. હિન્દ સ્વરાજ્યના ગ્રંથોનું લોકાર્પણ કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકશ્રી મોહન ભાગવતે જણાવ્યું કે ગાંધીજીના જીવન ચિંતનનું મૂળ હાર્દજ હિન્દુસ્તાનની ધરતી, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનની નીતિ અને ધર્મના સનાતન આધારે વિકસેલી છે અને ૧૦૦ વર્ષ પહેલાં પણ ગાંધીજી તેના અનુસરણ માટે પ્રતિબધ્ધ હતા.
ગાંધીજીને કોઇ સંકુલ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાની જરૂર નથી. ગાંધીજીના વિચાર ચિંતન તો જીવનની તપસ્યામાંથી ઉદભવે છે એમ શ્રી મોહન ભાગવતે જણાવ્યું હતું. ગાંધીજી સ્વરાજ્યના સમર્થક હતા પરંતુ, માત્ર શાસકીય સ્વતંત્રતા નહી પણ દરેક વ્યકિત સ્વતંત્રતાની અનુભૂતિ કરે, સત્ય અને અહિંસાના આદર્શોને અપનાવવા વ્યકિત અને સમાજ સક્ષમ બને તેવા શાશ્વત વિચાર માટે ગાંધીજી આગ્રહી હતા તેમ સર સંઘચાલકશ્રીએ જણાવ્યું હતું. શ્રી મોહનજી ભાગવતે જણાવ્યું કે ગાંધીજીએ તેમના વિચારોને અનુરૂપ કેવળ ઉપદેશ નથી આપ્યો પણ જીવન જીવી બતાવ્યું છે અને તેમના વિચાર માટે પ્રત્યેક વ્યકિત અને સમાજે પોતાને સક્ષમ બનાવવા પડશે. સત્યાગ્રહી બનવા માટે સત્ય ગ્રહણ કરવાનું છે.
‘‘હિન્દ સ્વરાજ્ય''ના સનાતન મૂલ્યો સાથે સમાધાન કરવાનું નથી અને વિનોબાજીએ ગાંધીજીને સુપેરે જાણ્યાં-સમજ્યાં હતા. સામાન્ય જન હોય કે શાસનકર્તા, ગાંધીજીના હિન્દ સ્વરાજ્યના વિચારોને સમજીને સામાજિક આચરણમાં લાવે તે આજની જરૂરિયાત છે એમ શ્રી ભાગવતજીએ જણાવ્યું હતું. ‘હિંદ સ્વરાજ'ની નવીન આવૃતિનું સંપાદન અને પ્રકાશન ચેન્નાઇ અને દિલ્હી સ્થિત સેન્ટ્રોલ ફોરમ લેવાયો છે. જ્યારે હિન્દી આવૃતિમાં ગુજરાતીને દેવનાગરી લિપિમાં અને તેની સામે હિન્દીમાં શબ્દાનુવાદ પુસ્તક રચાયું છે. જ્યારે અંગ્રેજી આવૃતિમાં મહાત્મા ગાંધીજીએ ૧૯૧૦માં જે ભાષાંતર કર્યું હતું તેનો સંદર્ભ લઇ ભાષાનું એક પુસ્તકમાં સંકલન કરાયું છે. પ્રારંભમાં શ્રી જતીન્દ્ર બજાજે પુસ્તક વિશેની જાણકારી આપી સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે લેખકો, મ્યુ. કાઉન્સીલરો તથા અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.